Friday, April 26, 2024
Homeપયગામસત્તા પરિવર્તન કે વ્યવસ્થામાં પરિવર્તન

સત્તા પરિવર્તન કે વ્યવસ્થામાં પરિવર્તન

આપણું સૌભાગ્ય છે કે આપણે ભારત જેવા વિવિધતા ધરાવતાં દેશમાં જન્મ્યા. આ વિવિધતા માત્ર ધર્મ અને સંપ્રદાયોની જ નથી ભાષાઓ અને સંસ્કૃતિની પણ છે. બધા જ સમુદાયો પોતાની વિશેષતાઓ, ખૂબીઓ અને નબળાઈઓ સહિત સદીઓથી સાથે જીવી રહ્યાં છે. જયાં વિચારસરણી જુદી જુદી હોય ત્યાં મતભેદ સ્વાભાવિક છે અને તેના કારણે ટીકા ટિપ્પણીઓ થતી રહે છે. જા ટીકા કરનાર નિખાલસ હોય અને સાંભળનાર તટસ્થ હોય તો આ ટીકાઓ સકારાત્મક ભુમિકા ભજવે છે તેમાંથી સારો અને શ્રેષ્ઠ વિકલ્પ મળી રહે છે.પરંતું વ્યક્તિ જ્યારે મનભેદ અથવા પૂર્વગ્રહ  રાખતો હોય તો તે બીજાનાં વિરોધ ને જ પોતાનુ કર્તવ્ય સમજે છે. અને વિરોધની માનસિકતા આગળ વધતા કદમોને અવરોધે છે. બલ્કે કેટલાંક કિસ્સામાં ઘર્ષણનું કારણ બને છે. તેથી દેશને પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસનાં ઉંબરે લઇ જવા ઇચ્છતા હોઇએ તો બૌદ્ધિક મતભેદને પ્રોત્સાહન મળવું જાઈએ અને નવા વિચારોનું સ્વાગત થવું જોઈએ કે જેથી દેશ શાંતિ, સહજતા અને સરળતા સાથે આગળ લઈ જઈ શકાય.

આપણો દેશ અંગ્રેજાના કબ્જામાંથી સ્વતંત્ર થયો અને દેશની બાગડોર આપણાં હાથમાં આવી ત્યારે આપણાં પૂર્વજાએ ભારતના ભવિષ્ય માટે જે સ્વપ્ન જોયું હતુ શુ આપણે ૭૦ વર્ષ પછી પણ એ સાકાર કરી શકયા છે ખરાં?!! જા જવાબ નામાં હોય અને ચોક્કસ નાંમાં જ હશે તો આપણે વિચારવું જ રહ્યુ કે કેમ ? અને કેવી રીતે એ સ્વપ્નને સાકાર કરી શકાય.

આટલા મોટા દેશ પર રાજ કરવું કોઈ નાની સરખી વાત નથી. છેવાડાનાં માણસને સામે રાખી વિકાસની યોજના બનાવવામાં આવે તો સૌનો વિકાસ સંભવ છે, જાે કે પાર્ટીઓ વડે દાવો તો આવો જ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા બીજી કાંઈક દેખાય છે. ગત ૭૦ વર્ષોમાં દેશે ઘણી ચડતી પડતી જોઇ છે, યુદ્ધો જાયા છે, ઇમરજન્સી જોઇ છે, આંદોલનો અને પાર્ટીઓની અવરજવર જાેઇ છે. ચોક્કસ, દેશે કાંઈક અંશે પ્રગતિ પણ કરી છે, પરંતુ તેના લાભથી એક મોટો વર્ગ આજે પણ વંચિત છે. અને ઘણાં પાસાઓ એવાં છે જ્યાં હજી આપણે ઘણાં પાછળ છીએ. ભૂખ, ભય અને ભ્રષ્ટાચારને આપણે પહોચી વળી શક્યા ન હોય, ગુણવત્તા સભર શિક્ષણ, સડક, વીજળી વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ છેક ગામડે સુધી પહોંચી ન શકી હોય, રોજગારની તકો ઉત્પન્ન ન કરી શક્યા હોઇએ તો ઘણુ વિચારવાનું આવી જાય છે. આપણાં દેશનો સ્વભાવ એક ફેડરલ  અને વેલફેર સ્ટેટનો છે. કોઈ ભેદભાવ વગર બધા જ નાગરિકોનું કલ્યાણ એ જ આપણું ધ્યેય હોવું જોઈએ.

કોઈ પણ સમાજ કે શાસન વ્યવસ્થાને  ચલાવનાર માનવ જ હોય છે. દેશમાં જાવા મળતો ભ્રષ્ટચાર, અરાજકતા અને બુરાઈઓ પાછળ માનવનું અપ્રશિક્ષિત, અસંયમી અને બિનજવાબદાર હોવું છે. જ્યાં સુધી માનવનું નેતિક સિંચન ન થાય, તેમાં સ્વયં શિસ્ત પેદા ન થાય, તે સંયમી ન બને ત્યાં સુધી કોઈ પણ વ્યવસ્થા સફળ થઈ શકતી નથી. કાર ગમે તેટલી સુંદર અને શ્રેષ્ઠ હોય પરંતુ જાે ડ્રાઇવર જ બરોબર ન હોય તો ગાડીનું સત્યાનાશ બોલાવી દેશે. તે જ રીતે સિદ્ધાંતો જ પુરતા નથી તેનાં પાલન કરનારા લોકો પણ સારા હોવાં જોઈએ. એટ્‌લે માનવ ઘડતર વગર કોઈ પણ વિચારધારા કારગર નીવડી શકતા નથી જ. સંપૂર્ણ પરિવર્તન માટે ત્રણ વસ્તુઓમાં પરિવર્તનની જરૂર છે.

શિક્ષણ વ્યવસ્થા

કોઈ પણ સમાજને આદર્શ બનાવવા માટે ચરિત્ર ઘડતર અને સંસ્કારનું હોવું અનિવાર્ય છે. આ પ્રશિક્ષણ માટે માતાનો ખોળો પહેલું પગથયુ છે. બીજુ અને સૌથી મહત્વનું પગથીયું  શૈક્ષણિક વ્યવસ્થા છે. જે યુવાનો ને દિશા આપવાનું કાર્ય કરે છે. લોક નિર્માણમાં શૈક્ષણિક સંકુલ સૌથી મહત્વ ની ભૂમિકા ભજવવી શકે છે. શેક્ષણિક  પાઠ્‌યક્રમમાં નેતિક શિક્ષણ ફરજીયાત પણે સામેલ કરવું જાઈએ. સાથોસાથ ભારતીય પરંપરાને અનુરૂપ વિવિધ ધર્મોનું મૂળભૂત જ્ઞાન પણ આપવું જોઈએ કે જેથી બાળકને શરૂઆતથી વિવિધ માન્યતાઓ અને શ્રદ્ધાઓ વિશે  માહિતી મળી રહે . અને ગેર સમજ તથા અજ્ઞાનતાના લીધે થતી સમસ્યોઓથી બચી શકાય. અને તેંઓમાં બાળપણથી જ બીજા ધર્મોનો આદર કરવાની ભાવના અને બીજા સમુદાય સાથે સહજીવન માણવાની માનસિકતા સહજ રીતે ઉત્પન્ન થાય. વિદ્યાધામામાં બધાજ વિવિધ ધર્મ-સંપ્રદાય અને વર્ગનાં  વિદ્યાર્થિઓને ફરજીયાત પણે પ્રવેશ આપવો જાઈએ. શૈક્ષણિક સકુલોમાં દેશના ભવિષયનું ઘડતર થાય છે. આ પવિત્ર ધામોમાંથી સંયમી અને નૈતિક માનવોની સેના તૈયાર થવી જોઈએ. તેથી શિક્ષણનો મૂળ હેતુ માનવનું નિર્માણ હોવું જોઈએ , ન કે રોબોટ મશીન (કુશળ કારીગર). આપણે જે વસ્તુ ઉપર focus કરીશું તેનાં પરિણામો જૃરૂર મળશે. બાળકોને નાગરિક શાસ્ત્રનું શિક્ષણ પણ પ્રાથમિક શાળાથી જ મળવું જાઈએ કે જેથી રાષ્ટ્રીય ભાવના અને નાગરિક તરીકેના કર્તવ્યનો એહસાસ પેદા થાય. આ તાલીમ પ્રાયોગિક રીતે આપવી જોઈએ કે જેથી નૈતિક નિયમો બાળકના જીવનનો ભાગ બને. મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું જેનો ભાવાર્થ છે કે સંતાનને સૌથી સુંદર ભેટ તેમને સંસ્કાર શીખવવા અને સુંદર પ્રશિક્ષણ આપવું છે. પરંતુ આપણા સમાજમાં વાલીઓ બાળકમાં શરૂઆતથી જ સ્પર્ધા અને ભૌતિકતા પેદા કરે છે. જેનાં ભયાવહ પરિણામો આપણે  ભોગવી રહ્યાં છીએ. કોઈ પણ શિક્ષણ વ્યવસ્થા તટસ્થ હોતી નથી તે ક્યાંકને ક્યાંક કોઈ વિચારધારા કે સંસ્કૃતિને વરેલી હોય છે. ધર્મ પ્રધાન દેશમાં પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલી બંધ બેસતી નથી. આપણે જા દેશમાં કોમી સોહાર્દ, પ્રેમ અને ભાઈચારો  લાવવા માંગતા હોઇએ તો તેનું આયોજન બાલમંદિરથી લઇ ઉચ્ચશિક્ષણ સુધી કરવું જોઈએ. આજે એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓ લાંચ રૂશવત લેતા હોય, બ્યુરોકરેટસ ભ્રષ્ટાચાર કરતા હોય, ન્યાયધિશ ઉપર કરપ્શનનાં આરોપ લાગતા હોય, સામાન્ય જાહેર સંસ્થાનોમાં જ નહીં લોકસભા જેવા ગૃહમાં કોમવાદી ભાષાનો ઉપયોગ થતો હોય તો નવાઈ કે આશ્ચર્યની વાત નથી કેમ કે આ આપણાં શિક્ષણધામાની પ્રોડક્ટ છે. માત્ર શૈક્ષણિક પ્રક્રિયામાં જ નહીં દરેક વિભાગમાં એક સ્વતંત્ર ethical dept. હોવો જોઈએ, જે બધી બાબતો પર નજર રાખે.

ચૂંટણી વ્યવસ્થાઃ

ઇચ્છીત ઉમેદવારને એક મુદ્દત માટે કેરેક્ટર સર્ટિફિકેટ રજુ કરવું જોઈએ, જેમાં તેનો ક્રિમિનલ રિકોર્ડ, નૈતિક સ્તર, માનવીય અભિગમ, વાણી વિલાસની તપાસ થવી જોઈએ. ઉમેદવારની પરીક્ષા હોવી જાઈએ તેને બંધારણ વિશે રાજનીતિ વિશે, દેશની સમસ્યાઓ વિશે, બંધારણ વિશે કેટલું જ્ઞાન છે. વિવિધ મુદ્દાઓ ઉપર ઉમેદવારો વચ્ચે જાહેર ચર્ચા, સંવાદ કે વાદ-વિવાદ થવા જાઈએ કે જેથી મતદારને ખ્યાલ આવે કે કયો ઉમેદવાર વધુ સારો છે. ખોટા વચનો કરનાર ઉમેદવારને આગામી ચૂંટણી માટે ગેરલાયક ઠરાવવો જોઈએ.

લેજીસલેટર: વિધાન સભા અને લોકસભા એવાં બે ગૃહ છે જયાં કાયદા બનાવવા અને તેમાં સુધારો વધારો કરવામા આવે છે. તે રાષ્ટ્રનું માનસ છે, તેથી તેમાં બધાજ સમુદાય અને વર્ગોનું પ્રતિનિધિત્વ તેમનાં પ્રતિશત મુજબ અનિવાર્ય પણે હોવું જોઈએ.

આજે ઘણા સમુદાયો એવાં છે જેમના માટે યોગ્ય અને અસરકારક રજુઆત થતી નથી, તે લોકોમાં આટલી ક્ષમતા પણ નથી કે કઈ  રીતે પોતાની સમસ્યા આ નેતાઓ સુધી પહોંચાડવી પરિણામે તેઓ સતત હસિયામાં જતા રહે છે. જ્યારે જાગૃતિ આવે તો તેઓે પોતાના હક માટે સંઘર્ષ શરુ કરે છે, અને કેટલીક વાર આવા લોકો હિંસક માર્ગે પણ વળી જાય છે. સૌનો સાથ -સાનો વિકાસના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવું હોય તો સૌનું યોગ્ય પ્રતિનીધિત્વ હોવું જરુરી છે.આજે વિવિધ સમુદાયો આરક્ષણની માગ સાથે વિશાળ પ્રદર્શનો કરી રહ્યાં છે, પરિસ્થિતિ આ છે કે જે લોકો આર્થિક અને રાજનીતિક રીતે સધ્ધર છે તેઓ પણ આરક્ષણની માંગ કરી રહ્યાં છે. કાલે બીજા સમુદાયો પણ આવી માંગણી સાથે મેદાનમા આવશે. ન્યાયિક રીત આ જ હોઇ શકે કે દરેક સમુદાયને તેમનો પ્રતિનિધિ ચૂટવાંની આઝાદી મળે. આ પ્રતિનિધિત્વ પણ જે તે સમુદાયમાંથી જ હોવા જાઈએ. ગૃહમાં સભ્યો ની જેટલી સંખ્યા હોય તેનાં ૧૦ પ્રતિ શત લોકો સામાન્ય પ્રતિનિધિ હોવાં જોઈએ. આ સામાન્ય પ્રતિનિધિનાં પદ  માટે દરેક જીલ્લામાંથી દરેક સમુદાયે પોતાનો પ્રતિનિધિ નું નામ આપવું જોઈએ જીલ્લા નાં એ બધાં પ્રતિનિધિઓ વચ્ચે comparative અધ્યયન અને ચર્ચા થવી જોઈએ. ત્યાર બાદ લોકો એ કરેલી ચર્ચાને સામે રાખી જનતાએ પોતાનો મત આપવો. આ રીતે ગૃહમાં સંખ્યાનાં ૧૦ ટકા સામાન્ય પ્રતિનિધિ અને બાકીની સંખ્યા માટે સામુદાયિક પ્રતિનિધિ હોવાં જાેઈએ. હવે વિચાર કરીએ રાજનૈતિક વ્યવસ્થા વિશે..

રાજનૈતિક વ્યવસ્થા

માનવ ઇતિહાસ વિવિધ શાસન વ્યવસ્થાઓનો અનુભવ કરી ચુક્યો છે. રાજાશાહીથી લઈને તાનાશાહી અને મૂડીવાદીથી લઈને સામ્યવાદ સુધી, અંતે બધી જ નિષ્ફળ નિવડી છે. લોકશાહી પણ નિષ્ફળતાના દ્વારે ઉભી છે. અહીં ૩૧ ટકા મત લઈને સરકાર બનાવી શકાય છે, જ્યારે કે કોઈપણ ચૂંટણીમાં મત નહીં આપનાર લોકોની સરેરાશ સંખ્યામાં ૩૦ થી ૩૫ ટકા જેટલી હોય છે. એટલે આટલા બધા લોકો કોઈ પાર્ટીને પસંદ કરતા નથી. આવી પરિસ્થિતિમાં બીજા વિકલ્પ ઉપર વિચારવું જરૂરી બની જાય છે. માત્ર સત્તા પરિવર્તનથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે, સત્તામાં એટલે કે વ્યવસ્થામાં પરિવર્તન લાવવું પડશે.

આપણે જાણીએ છીએ કે આપણો દેશ ધર્મપ્રદાન અને,ધર્મપ્રિય છે. જા કે આપણા દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. પરંતુ બંધારણને લાગુ કરનારા લોકો ધર્મનિરપેક્ષ દેખાતા નથી. સામાન્ય જનતાની માનસિકતા ધાર્મિક છે બલ્કે એક પગલું આગળ ધર્માન્ધ પણ છે. આવી પરિસ્થિતિમાં ધર્મનિરપેક્ષતા તેમના ગળે ઉતરતી નથી.હવે તો સેક્યુલર કહેવાતી પાર્ટીઓ પણ પોતાને ધાર્મિક દેખાવના ઢોંગ કરે છે અથવા સત્તા માટે ધર્મનું પહેરણ પહેરે છે. વ્યવસ્થામાં એવા સુધારા કરવા જોઈએ કે જેથી કોઈ પણ ધર્મને અનુસરતી વ્યક્તિ તેના ધર્મનું છૂટથી અનુકરણ કરી શકે. તેના નિર્માણમાં ધાર્મિક લોકો, આગેવાનો અને ગુરુઓ તેમાં કઈક અંશે ભાગ ભજવી શકે છે. તેઓ ભલે જુદા જુદા ધર્મોમાં માનતા હોય પરંતુ દુનિયાના બધા જ ધાર્મિક લોકો આ બાબતે એક મત છે કે સૃષ્ટિનો એક જ સર્જનહાર, પાલનહાર અને ઉપસ્ય છે. અને આ પણ વિશ્વાસ ધરાવે છે કે તેવા લોકોના માર્ગદર્શન માટે સમયાન્તરે પોતાના દૂત કે સંદેશવાહક મોકલતો રહ્યો છે. આપણે લોકશાહીને એક ઈશ્વરને આધીન કરવી જોઈએ. પરમ સત્તા તરફથી જે કાનુન મળ્યા છે તેના મુજબ શાસન વ્યવસ્થા હોવી જોઈએ.

હવે જયારે આપણે ધર્મ આધારિત શાસન વ્યવસ્થાની વાત કરીશું તો મતભેદ ઉભા થઇ શકે છે. આવા મતભેદોને તટસ્થ માનસિકતા અને સહિષ્ણુતાથી સ્વીકારી જે સિધાંત વધુ સારો લાગે તેના મુજબ પ્રણાલી બનાવવી જોઈએ. જે ધર્મો આપણા દેશમાં જોવા મળે છે તેમનું અધ્ધ્યન થવું જોઈએ, જે ધાર્મિક પુસ્તકો તેમની પાસે છે તેમની સત્યતા અને શુદ્ધતા ચકાસવી જાઈએ. જે વસ્તુ શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે તેને પ્રાથમિકતા મળવી જોઈએ. અને બધા ધર્મોને પ્રચાર પ્રસાર અને અનુકરણની સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ. તેમના પર્સનલ લામાં કોઈ પણ પ્રકારે કોઈ દખલગીરી ન કરવી જોઈએ. ટૂંકમાં કહીએ તો લોકશાહી રીતે ઈશ્વરીય શાસન જેવી કોઈ વ્યવસ્થાનું નિર્માણ થાય તો આપણા માટે વધુ સુખદાયી નીવડી શકે છે. માનવી જે કઈ નીતિ નિયમો બનાવે છે તેમાં ઘણી ત્રુટીઓ રહી જાય છે. જયારે ઈશ્વરે આપેલા કાનુન ત્રુટી રહિત છે .

ધર્મના કારણે કોઈ સમસ્યા દેખાતી હોય તો મારા મત મુજબ એ ધર્મના શિક્ષણની નહિ પરંતુ તેનું અનુકરણ કરનારા હાથોની છે. નવા વિચારો અને આદર્શ વ્યવસ્થાની શોધમાં ઇસ્લામ ધર્મના મૂળભૂત સંસાધન કુરાન અને હ. મુહંમદ પયગમ્બર સ.અ.વ.નું જીવન ચરિત્ર પણ ધ્યાનથી વાંચવું જાેઈએ કેમકે એ વ્યવસ્થા ઉપર ઈતિહાસમાં એક આદર્શ પ્રણાલીની રચના થઇ ચુકી છે. જેના અધીન બધા જ સમુદાયો એ શાંતિ,સમૃદ્ધિ અને ન્યાયનો એહસાસ કર્યો હતો. વ્યક્તિ જેમ જેમ પ્રકૃતિની નજીક જાય છે તેમ તેમને એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે. કુરાનનું શિક્ષણ છે કે ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે. ધરતી પર અવતરિત થયેલા પહેલા વ્યક્તિનું ધર્મ પણ ઇસ્લામ હતો અને જેટલા પણ ઈશદુતો અને પયગમ્બરો આવ્યા છે તેમને એ જ ઇસ્લામ ધર્મનું  શુદ્ધ શિક્ષણ પ્રસ્તુત કર્યું. ગાંધીજી એ એક વાર કહ્યું હતું કે અમે સ્વતંત્ર ભારતમાં ઉમર ફારૂક જેવું શાસન લાવીશું. ગાંધીજીને“રામરાજ્ય”ની આદર્શ તસ્વીર હઝરત ઉમરના શાસનમાં દેખાતી હોય તો દરેક સમજદાર અને વિદ્વાન વ્યક્તિએ તેમનું અધ્યયન કરવું જ રહ્યું.

મિત્રો, પ્રવર્તમાન વ્યવસ્થાના વિકલ્પ રૂપે વિચાર કરવાના કંઈક બિંદુઓ હતા આપ સૌ સંપૂર્ણ પણે સંમત ન પણ હોવ. પરંતુ સુંદરથી અતિસુંદર તરફ જવાનો માર્ગ મોકળો રહેવો જાઈએ. તમે પણ નવા વિચારોનું સર્જન કરી શકો છો અથવા મુકેલા વિચારને આગળ ધપાવવા ટીકા ટીપ્પણી પણ કરી શકો છો પરંતુ લખતી વખતે બુદ્ધિના દ્વાર ખુલ્લા રહેવા જાઈએ. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments