Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસંઘના સ્વયં સેવકોને પ્રણવ દા શું કહે?

સંઘના સ્વયં સેવકોને પ્રણવ દા શું કહે?

સંવાદ, લોકતાંત્રિક પ્રક્રિયાનો અનિવાર્ય અંગ છે. પરંતુ ત્યારે આપણે શું કરશું, જ્યારે એવા લોકો, જે લોકતાંત્રિક માર્ગે લોકતંત્રને સમાપ્ત કરવાની ઇચ્છા ધરાવતા હોય? એ લોકો સાથે ચર્ચા થવી જોઈએ જે ભારતના ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક બંધારણમાં આસ્થા ધરાવતા હોય. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આરએસએસના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટે સંમત થઈ જવા પર જાત જાતની ટિપ્પણીઓ સામે આવી રહી છે. અમુક લોકોનું કહેવું છે કે આરએસએસ અને એના જેવા સંગઠનોથી સંવાદ કરવામાં કોઈ ખરાબી નથી. આખરે શું આપણે આ હકીકતને ખોટી સાબિત કરી શકીએ છીએ કે સંઘ આજે દેશમાં એક મોટી તાકાત છે. બીજી તરફ, અન્ય લોકોનું કહેવું છે કે સંઘને લોકતાંત્રિક વ્યવસ્થાનો અંગ નથી માની શકતા, કેમ કે તે ભારતીય રાષ્ટ્રવાદ માં વિશ્વાસ નથી રાખતું અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માંગે છે.

આરએસએસના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ એ ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ માં લખ્યું હતું. “હવે આપણે પોતાને રાષ્ટ્રવાદની ખોટી અવધારણાઓથી પ્રભાવિત થવાથી બચવું પડશે. આજે જે ભ્રામકતાની સ્થિતિ આપણા દેશમાં સર્જાઇ છે એને દૂર કરવા અને વર્તમાન અને ભવિષ્ય માં આપણી સમસ્યાઓની સરખામણી કરવા એકમાત્ર રસ્તો એ છે કે આપણે આ હકીકતને સ્વીકારીએ કે હિન્દુસ્તાન માં ફક્ત હિન્દુ જ એક રાષ્ટ્ર છે અને રાષ્ટ્રના પાયા આ જ મજબૂત અને સુરક્ષિત સ્તંભ પર ઊભા કરવા જોઈએ. રાષ્ટ્રનો આધાર હોવો જોઈએ હિન્દુ પરંપરાઓ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ વિચાર અને હિન્દુ આકાંક્ષાઓ.” આવી જ રીતે, નરેન્દ્ર મોદીએ ઈ.સ. ૨૦૧૪માં લોકસભા ચૂંટણીઓના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો કે તે રાષ્ટ્રવાદી છે અને એક હિન્દુ પરિવારમાં જન્મ લીધો, એટલે તે હિન્દુ રાષ્ટ્રવાદી છે.

પ્રણવ મુખર્જી જીવનપર્યંત એક સાચા અને પાકા કોંગ્રેસી રહ્યાં છે. તે ભારતીય બંધારણ અને ધર્મનિરપેક્ષતાના મજબૂત હિમાયતી છે. તો પછી તેમણે એવા સંગઠનનું નિમંત્રણ શા માટે સ્વીકારવું જોઈએ જેનું ગઠન જ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે થયું છે. આ મુદ્દામા બે વસ્તુ છે. જે લોકો મુખર્જી દ્વારા સંઘનું નિમંત્રણ સ્વીકાર કરવાનો વિરોધ કરે છે તેમના આ તર્કમાં વજૂદ છે કે આનાથી આરએસએસ અને એના વિઘટનકારી એજન્ડાને સ્વીકાર્યતા મળશે. બીજી તરફ, આ તર્ક પણ આપી શકાય કે આ એક અવસર છે, જેનો ઉપયોગ કરી પ્રણવ મુખર્જી, આરએસએસના વિઘટનકારી એજન્ડા વિશે પોતાના વિચાર દેશના સામે મૂકી શકે છે અને સંઘના કાર્યકર્તાઓને એ ચેતવણી આપી શકે છે કે એના માટે એ જ સારું છે કે હિન્દુ રાષ્ટ્રવાદને તિલાંજલિ આપી અને ભારતીય રાષ્ટ્રવાદના માર્ગે પર ચાલે.

શું મુખર્જી આરએસએસને દર્પણ દેખાડી શકશે? શું તે એને કહી શકશે કે ગાંધી, પટેલ અને નહેરૃ, આરએસએસની વિચારધારા અને એમના રાષ્ટ્રવાદ વિશે શું વિચાર ધરાવતા હતા? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા પછી પટેલએ લખ્યું, “તેના (આરએસએસ) નેતાઓના ભાષણ સાંપ્રદાયિક વિષ થી ભરેલા છે. તેના પરિણામે દેશમાં એક એવું વિષમય વાતાવરણ ઉભું થયું જેના થકી ગાંધીજીની હત્યા જેવી ભયાનક ત્રાસદી સંભવી શકી. આરએસએસએ ગાંધીજીની મૃત્યુ પર ખુશી વ્યક્ત કરી અને એના કાર્યકર્તાઓમાં મીઠાઈઓ વહેંચી.” (એમએસ ગોલવલકર અને શ્યામાપ્રસાદ મુખર્જીને પટેલ દ્વારા લખાયેલ પત્રોમાંથી). ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિના ગાંડપણનું પરિણામ નહોતું. તે આરએસએસની હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાનું પરિણામ હતું.

એવો દાવો કરવામાં આવે છે કે ગાંધીજી આરએસએસની એક શાખામાં ગયા હતા. સત્ય એ છે કે ગાંધીજી કયારેય પણ આરએસએસથી પ્રભાવિત નહોતા. એમના સચિવ પ્યારેલાલ લખે છે કે ઈ.સ. ૧૯૪૬માં થયેલ હિંસા પછી ગાંધીજીના કાફલાના એક વ્યક્તિએ વાઘામાં આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા દેખાડવામાં આવેલ કાર્યકુશળતા, અનુશાસન, સાહસ અને સખત મહેનતના વખાણ કર્યા. વાઘા, શરણાર્થીઓનો એક મોટો કેમ્પ હતો. તેના પર ગાંધીજી એ કહ્યું કે “ન ભૂલો કે હિટલરના નેતૃત્વમાં નાજીઓ અને મુસોલિનીના નેતૃત્વમાં ફાસીવાદીઓએ પણ આ જ બધા ગુણોનું પ્રદર્શન કર્યું હતું.” ગાંધીજી, આરએસએસને એકાધિકારવાદી દ્રષ્ટિકોણ વાળું સાંપ્રદાયિક સંગઠન માનતા હતા.

આના પહેલા પણ ગાંધીજીએ આરએસએસના સંબંધમાં લખ્યું હતું કે, જેથી તેના વિશે એમના વિચાર સ્પષ્ટ થાય છે. ‘હરિજન’ના ૯ ઓગસ્ટ ૧૯૪૨ના અંકમાં ગાંધીજી લખે છે, “મે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમની ગતિવિધિઓ વિશે સાંભળ્યું છે અને મને એ પણ ખબર છે કે આ એક સાંપ્રદાયિક સંગઠન છે.” ગાંધીજીએ આ ટિપ્પણી એક ફરિયાદના સંદર્ભમાં કરી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ જગ્યા પર ‘બીજા સમુદાય’ ના વિરુદ્ધ નારા લગાડ્યા હોય અને ભાષણ આપ્યા હોય. ગાંધીજી અહીંયા આરએસએસની શાખામાં સ્વયંસેવકો દ્વારા લગાડેલા અમુક નારાની વાત કરી રહ્યા હતા, જેમાં એ કહેવામાં આવ્યું હતું આ દેશ ફક્ત હિન્દુઓનો છે અને અંગ્રેજોના આ દેશથી ગયા પછી હિન્દુ, અન્ય ધર્મના લોકોને પોતાના ગુલામ બનાવી લેશે. સાંપ્રદાયિક સંગઠનો દ્વારા કરવામાં આવેલા રમખાણો ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું કે, “મે આરએસએસ વિશે ઘણી વાતો સાંભળી છે. મને કહેવામાં આવ્યું કે સંઘ આ બધી શરારતની જડ મા છે.” (ગાંધી, કલેકટેડ વકર્સ, ખંડ ૯૮, પૃષ્ઠ ૩૨૦-૩૨૨, પ્રકાશન વિભાગ, સૂચના અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, ૧૯૫૮).

શું આરએસએસમા કોઈ ફેરફાર આવ્યો છે? શું એના વિશે કહેવામાં આવેલી જૂની વાતો ને ફરીથી પુનરાવર્તન કરવાનો કોઈ અર્થ છે? સત્ય એ છે કે ઘૃણાની જે વિચારધારાએ ગાંધીની હત્યા કરી હતી, તે અત્યારે પણ એટલી જ મજબૂત છે. રામ મંદિર, ગૌહત્યા, વગેરે જેવા મુદ્દાને લઈને જે હિંસા થઈ રહી છે એના માટે ફક્ત તલવારો, લાકડીઓ અને ચાકુ પકડેલા હાથ દોષી નથી. તેની પાછળ છે વિચારધારા – હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારા. આઝાદીના સમય પછીથી આરએસએસના આકાર અને તેના પ્રભાવમાં આશાતીત વૃદ્ધિ થઈ છે, પરંતુ તેનો એજન્ડો આજે પણ એ જ છે. ઇતિહાસના સાંપ્રદાયિક સંસ્કરણ નો ઉપયોગ કરી તે અત્યારે પણ અલ્પસંખ્યકો વિરુદ્ધ વિષ ફેલાવી રહ્યું છે, પછી મુદ્દો ભલે પદ્માવત નો હોય કે લવ જેહાદનો. પાસ્તર સ્ટેન્સની હત્યા ઇસાઈઓની વિરુદ્ધ હિંસા માટે જેટલું આને કરનારાઓ દોષી હતા તેટલો જ દોષ આ દુષ્પ્રચાર નો પણ હતો કે ખ્રિસ્તી મિશનરીઓ બળજબરી, છેતરપિંડી અને લોભ-લાલચ થકી હિન્દુઓને ઇશાઈ બનાવી રહ્યાં છે.

શું આરએસએસ પોતાની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાને ત્યાગી શકે છે? શું તે ગોલવલકર તથા ‘વી એન્ડ અવર નેશનહુડ ડીફાઈન્ડ’ તથા ‘બંચ ઓફ થોટસ’ ને નકારી શકે છે ? જો મુખર્જી આરએસએસને એક એવું સંગઠન બનાવવા માંગે છે, જે બહુવાદી રાષ્ટ્રવાદમાં શ્રદ્ધા ધરાવતું હોય, તો કદાચ તેમણે અસંભવ કાર્ય પોતાના હાથમાં  લઈ લીધું છે. આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થવા માટે સંમત થઇને એક અત્યંત જોખમ ભર્યું પગલું ઉપાડ્યું છે. કાં તો તે આરએસએસના હિન્દુ રાષ્ટ્રવાદને સ્વીકાર્યતા આપશે કાં એમણે એ પડકાર સ્વીકારવો પડશે કે તે સંઘ ને તેમની વિઘટનકારી વિચારધારાને ત્યાગવાનું કહે અને તેને તે રસ્તા પર ચાલવા માટે પ્રેરિત કરે જે ગાંધી અને નેહરુએ દેખાડયો હતો અને જે આપણને ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ભારતની તરફ લઈ જશે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments