Thursday, March 28, 2024
Homeપયગામમુસલમાનોની પ્રગતિ અને અદ્યોગતિના કારણો

મુસલમાનોની પ્રગતિ અને અદ્યોગતિના કારણો

ક્રાંતિ અને સુધારણાનો ધ્યેય કોઈ ખરાબ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો છે, પરંતુ બંનેની કાર્યપદ્ધતિ જુદી છે. સુધારાવાદી વ્યક્તિ પરિસ્થિતિનું સુક્ષ્મ અધ્યયન અને ગહન વિચાર કરી ખરાબીની જડ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે, તેની મર્યાદાઓને અને  સકારાત્મક પાસાઓને ધ્યાનમાં લઈ સુધારણાનું આયોજન કરે છે. જયારે  ક્રાંતિકારી વ્યક્તિના મનમાં વેરવૃત્તિની ભાવના હોય છે, અને તેના કામની  શરૃઆત ક્રોધાગ્નિથી થાય છે, જેના કારણે બૂરાઈઓ સાથે ભલાઈઓ પણ બળી જાય છે અને એક અસંતુલિત પરિસ્થિતિની જગ્યા બીજી અવ્યવસ્થા સર્જાય છે.

કયારેક એવું પણ બને છે  કે પરિસ્થિતિ એટલી પીડાદાયી અને વિચિત્ર હોય છે કે તેમને એટલી મહેતલ જ નથી આપતી કે તેઓ ઠંડા કલેજે વિચારે ને સુધારણાના પ્રયત્ન કરે. તેથી લોકો પરિવર્તનની ભાવનાઓમાં વહી ક્રાંતિકારી પગલા લે છે, જેના કારણે રૃઢિચુસ્તો અને ક્રાંતિકારીઓ વચ્ચે સંકટ ઊભું થાય છે. ક્રોધાગ્નિ તેમાં બળતણનું કામ કરે છે અને બંને સમુદાયો અંતિમ છેડે પહોંચી જાય છે. એક સમુદાય ખોટી વસ્તુનો બચાવ કરે છે. બીજું સાચા ખોટાના ભેદ વગર જૂની બધી જ વસ્તુઓનો અસ્વીકાર કરે છે. ક્રાંતિ તોફાનની જેમ આવે છે ને અસત્ય સત્યના ભેદ વગર દરેક વસ્તુનો નાશ કરી દે છે. અને પછી દિમાગ ઠેકાણે આવતાં સુધારણાના જે પ્રયાસ કરે છે તેમાં પણ એ દરેક વસ્તુને છોડી દે  છે જેનું અસ્તિત્વ પેહલાં હતું. નવા સિદ્ધાંતો પર જીવનની ઇમારત ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવે છે જેમાં મળતી  નિષ્ફળતાઓથી થાકી પાછા સંતુલનનો માર્ગ અપનાવે છે. જયારે સુધારાવાદીઓ પહેલાંથી જ સંતુલિત રીતે વિચારે છે પરંતુ તેની યાત્રા લાંબી લાગતાં લાગણીશીલ લોકો ક્રાંતિનો માર્ગ અપનાવે છે.

દા.ત. રશિયામાં સામ્યવાદી ક્રાંતિનો જંગ માત્ર ધનની અયોગ્ય વહેચણી સુધી સીમિત ન રહ્યો બલ્કે રાજનૈતિક, સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક બધા જ સિદ્ધાંતોને નાબૂદ કરી દીધા. અહીં સુધી કે ઈશ્વરને પણ રૃસમાંથી જતા રહેવાની નોટીસ આપી દીધી.પરંતુ અનુભવ પછી સંતુલિત માર્ગે આવી. જયારે ઇસ્લામે આરબમાં જે પરિવર્તન આણ્યું હતું તેના પાછળ સમયાંતરે સુધારાવાદી પગલા અને સતત સંઘર્ષ ભાવના હતી.

આજે સમગ્ર દુનિયામાં ઇસ્લામી જગતની પરિસ્થિતિથી ઓછાવત્તા આપણે સહુ વાકેફ છીએ. આ પરિસ્થિથિનું નિર્માણ આકસ્મિક નથી થયું. અદ્યોગતિનો એક ઇહિહાસ છે આપણું ધાર્મિક નેતૃત્વ જે લોકોના હાથમાં છે તેમણે ઇસ્લામને એક સ્થિર અને અગતિશીલ બનાવી દીધો છે. તેમને ભણાવવામાં આવે છે કે દુનિયા પરિવર્તનશીલ છે અને દરેક પરિવર્તન એક ઘટના છે, પરંતુ વાસ્તવમાં સંસારના પરિવર્તનથી આંખો બંધ કરી લીધી છે. દુનિયા કયાંથી કયાં પહોંચી ગઈ. સભ્યતા અને સંસ્કૃતિમાં અગણિત પરિવર્તન આવી ગયા. પરિસ્થિતિ અને દૃષ્ટિકોણ બદલાઈ ગયા. સમસ્યાઓ બદલાઈ ગઈ, પરંતુ આપણા ધાર્મિક વિદ્વાનો જાણે-અજાણે ઇસ્લામી ખિલાફતના ેકેફમાં જીવતા હોય તેમ સમજી વિચારી રહ્યા છે. નવી સમસ્યાઓથી તેમને કોઈ મતલબ નથી, પરિવર્તનની કોઈ અસર નથી, બલ્કે તેમના પ્રયત્નો મિલ્લતને પણ પ્રગતિના માર્ગથી રોકવાના છે, જેથી તેમને ભવિષ્યથી ખેંચીને ભૂતકાળ તરફ લઈ જાય.

જો મિલ્લતના સાચા આગેવાનો  આગળ આવી વાણી વ્યવહારથી નેતૃત્વ પૂરૃં નહીં પાડે તો તેઓ તેમના નેતૃત્વને પોતાના ખભા પરથી ફેકી દેશે. આ સમસ્યાનું એક કારણ બીજું પણ છે. ધાર્મિક વિદ્વાનો ગૌણ વસ્તુઓમાં એટલા વ્યસ્ત છે કે મૂળ સિદ્ધાંતો તેમના હાથમાંથી છૂટી ગયા. અને ગૌણ વસ્તુઓ જ  મૂળ બની ગઈ. મિલ્લત આર્થિક, સામાજિક, શૈક્ષણિક તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં નિર્બળ થઈ રહી છે અને વિદ્વાનો મિસ્વાકની લંબાઈ, દુરૃદની ફઝીલત, આમીન જોરથી બોલવી કે ધીમેથી વગેરે જેવી સમસ્યાઓમાંથી જ બહાર નથી આવ્યા. નજીવી બાબતોના કારણે અંધાધૂંધી અને વિખવાદમાં સપડાયેલા છે. આ તે મિલ્લત છે જેને એક લાંબા સમય સુધી દુનિયા પર રાજ કર્યું છે. મિલ્લતની પ્રગતિ અને અવગતિને જાણવા ઇતિહાસ પર નજર કરવી જોઈએ. પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ઇસ્લામને વૈશ્વિક સત્તા કયા આધાર ઉપર બની હતી જ્યાં સુધી એ આધાર ઉપર જીવનની ગાડી નહિ દોડાવીશું ત્યાં સુધી સમસ્યાઓનું નિરાકરણ નહિ થાય. હા પ્રયત્નોના કારણે સમસ્યાઓનું રૃપ બદલાઈ શકે છે પરંતુ જોઈતું પરિવર્તન આવી શકતું નથી.

મિલ્લતનું નિર્માણ જે આધાર ઉપર થયું હતું તેનો ક્રમ આ હતો કે પહેલાં કુઆર્ન પછી આપ સ.અ.વ.ની સુન્નત અને તેના પછી ધાર્મિક વિદ્વાનોના ઈજ્તેહાદ- દુર્ભાગ્યવશ આ ક્રમ ઉલટાઇ ગયો. આ વસ્તુ સ્થિરતાનું મૂળ કારણ બની. જે વિદ્વાનો થઇ ગયા છે તેમના જ્ઞાાન અને ભવ્યતાનો કોઈ અસ્વીકાર ન કરી શકે. પરંતુ તેમના ઉપર વહી (ઈશવાણી) ન હોતી ઊતરતી તેઓ પોતાની અંતઃદૃષ્ટિ અને બુદ્ધિ સાથે કુઆર્ન જોડે સંકળાયેલા હતા તથા હદીસોમાં વિચાર કરતા હતા.

અલ્લાહનું જ્ઞાાન સર્વોપરી અને વાસ્તવિક છે. યુગો અને સમયના પરિવર્તનથી તેના જ્ઞાાનમાં કોઈ પરિવર્તન થતું નથી. તે જ જ્ઞાાનમાંથી વહી (ઈશવાણી)ના રૃપમાં ઈશદૂતોને જ્ઞાાન આપવામાં આવે છે. આ જ જ્ઞાાનનો ભંડાર છે જે દરેક યુગમાં વિવિધ પરિસ્થિતિ, સંજોગો અને જરૃરિયાતને સામે રાખી કાયદા, વિચાર અને નિયમો બનાવવા માટેનો મૂળ સ્ત્રોત રહ્યો છે. ઇસ્લામના વિદ્વાનો આ સ્ત્રોત (દિવ્ય કુઆર્ન)થી સીધા જોડાયેલા રહ્યા, તેનાથી જ્ઞાાન પ્રાપ્ત કરતા રહ્યા અને ઇસ્લામી દુનિયા સાથે આગળ વધતા રહ્યા, બલ્કે દુનિયાનું નેતૃત્વ કરતા રહ્યા. જ્યારે વિદ્વાનોએ  કુઆર્નમાં વિચાર-મનન કરવાનું છોડી દીધું. હદીસ પર સંશોધન કાર્ય બંધ થઈ ગયું, જ્યારે અગાઉના મુફસ્સિરીન (Interpreters) અને મુહદ્દિસીન (હદીસના વિદ્વાનો)નું આંધળું અનુકરણ થવા લાગ્યું, જ્યારે અગાઉ થઈ ગયેલા ધર્મશાસ્ત્રીઓ (ફુકહા)ના ઇજ્તેહાદાત (જે કોઈ સમસ્યાનું હલ કુઆર્ન-હદીસમાં ન હોય તો તેની સીમામાં રહી કરવામાં આવતો નિર્ણય)ને જ અપરિવર્તનશીલ ગણી લેવામાં આવ્યું, જ્યારે કુઆર્ન અને સુન્નતના સિદ્ધાંતો છોડી બુઝુર્ગો દ્વારા ગૌણ (ફુરૃઅ)ને જ મૂળ સિદ્ધાંત બનાવી લેવામાં આવ્યા તો ઇસ્લામની પ્રગતિ રોકાઈ ગઈ. અને ઇસ્લામના અનુયાયીઓ જ્ઞાાન-વિજ્ઞાાનના મેદાનમાં સંસારને નેતૃત્વ પૂરૃં પાડવાના બદલે બૌદ્ધિક રીતે નિષ્ક્રિય થવા લાગ્યા. પરિસ્થિતિ આટલી બગડી કે નાની નાની ગૌણ બાબતોમાં ઝઘડવા લાગ્યા. નવા નવા મસ્લક બન્યા અને વિખવાદ વધ્યો. અહીં સુધી કે ખુલ્લા દિલે એક બીજા પર કુફ્રના ફત્વા આપવા લાગ્યા. સત્યને (ઇસ્લામને) માત્ર પોતાના મસ્લકમાં જ સીમિત સમજવા લાગ્યા. હવે ઇસ્લામના બદલે પોતાના જ મસ્લકને ઇસ્લામ સમજવા લાગ્યા અને મિલ્લત ધીમે-ધીમે પતનની દિશામાં આગળ વધવા લાગી. એક પછી એક હકૂમતો મુસલમાનોના હાથમાંથી નીકળવા માંડી. તેઓ ઊંચાઈથી પડીને પસ્તીમાં પડી ગયા. તેમની પરિસ્થિતિ ગુલામ જેવી થવા લાગી અને ૧૯૨૫માં ખિલાફતે ઉસ્માનિયા (તુર્ક)ના અંત સાથે સમગ્ર ઇસ્લામી જગત વેર-વિખેર થઈ ગયું.

આપણે સ્વતંત્ર ભારતની વાત કરીએ. કમનસીબે ભારતના ભાગલા માટે જવાબદાર મુસલમાનોને ઠેરવવામાં આવ્યા જે હળહળતું જૂઠ છે. જે મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું તેમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ. સમાયાંતરે રમખાણોની શ્રૃંખલાએ તેમની કમર ભાંગી નાખી. બીજી બાજુ તેમની વચ્ચેના આંતરિક વિખવાદે તેમને એક મજબૂત સમુદાય ન બનવા દીધો. ત્રીજું, એવી સરકારી નીતિઓ ઘડવામાં આવી કે મુસલમાનો દિવસે દિવસે પછાતપણાના ભોગ બની ગયા. સમગ્ર સમયકાળમાં મુસલમાનો યોગ્ય નેતૃત્વથી વંચિત રહ્યા.  વિદ્વાનોની બૌદ્ધિક નિષ્ક્રિયતા મિલ્લતને યોગ્ય માર્ગદર્શન પૂરૃ પાડવામાં નિષ્ફળ નીવડી. અપવાદરૃપે જે વિદ્વાનોએ ઇસ્લામી ક્રાંતિનો સુધારાવાદી માર્ગ દેખાડયો તે પક્ષપાતી માનસિકતાની બલીએ ચઢી ગયો. હવે મિલ્લત એક વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. એક સમુદાય છે જે નિરાશ થઈને બેસી ગયો છે તેને પરિવર્તનના કોઈ ચિન્હો દેખાતા નથી. આવા લોકોમાં ભયનો માહોલ છે. અથવા બિલ્કુલ નિષ્ક્રિય થઈ ગયા છે.  તેઓ વહેતા દરિયામાં તણાઈ જવા તૈયાર છે. એક બીજો સમુદાય છે જે આ સંજોગો બનાવવાનું મૂળ કારણ ઇસ્લામી વિદ્વાનો અથવા ઇસ્લામી શિક્ષણને સમજી રહ્યા છે. તેઓ આધુનિકતાના વાહક છે અને બદાયેલા સમયમાં ઇસ્લામી કાયદાઓમાં પરિવર્તન ઇચ્છે છે. એક ત્રીજો સમુદાય છે જે પરિસ્થિતિથી બિલકુલ અજાણ છે અને માત્ર દુઆના બળે ઇન્કિલાબના સ્વપ્ન સેવી રહ્યા છે. એક ચોથો વર્ગ છે જે મુસલમાનોની પ્રગતિ માટે સક્રિય છે. તેનો વિચાર છે કે ઇસ્લામ પણ ઉન્નતિ કરશે. જેની જેવી સમજણ તે રીતે આગળ વધી રહ્યો છે પરંતુ સામૂહિક રીતે તેમની સક્રિયતાની કોઈ દિશા નથી. ન કોઈ ધ્યેય છે ન યોગ્ય આયોજન છે અને ન જ યોગ્ય નેતૃત્વ. કોઈ ઇસ્લામની સમજણથી દૂર હતો તો કોઈ હાલાતની ચડતી પડતીથી અજાણ.

આવી પરિસ્થિતિમાં કરવાનું કામ આ છે કે ઇસ્લામના વિદ્વાનો મિલ્લતને યોગ્ય નેતૃત્વ પૂરૃં પાડવા આગળ આવે. પરંતુ પોતાની અંદર ઇજ્તેહાદની શક્તિ ઉત્પન્ન કરે. અને તેના માટે જરૃર છે કે ક્રમ ઉલ્ટાવી દીધો હતો તેને સીધો કરે. કુઆર્ન અને સુન્નતને જ્ઞાાનનો સ્ત્રોત માની તેમાં વિચાર મનન કરે. અગાઉ થઇ ગયેલા વિદ્વાનો, મુહદ્દિસીન અને ધર્મશાસ્ત્રીઓએ જે કાર્ય કર્યું છે તેનાથી લાભ ઉઠાવે પરંતુ ત્યાં સુધી જ સીમિત ન રહે અને નવી બદલાયેલી પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન કરી મિલ્લતમાં ખૈરે ઉમ્મત હોવાનો ભાવ પેદા કરે અને તેમની અંદર ‘ઉમ્મતે વાહિદા’નો અહસાસ દૃઢ કરે. કોમી માનસિકતાથી ઉપર ઊઠી જનમાનસ માટે સક્રીય થવા આહ્વાન કરે. અમુક કોમવાદી તત્ત્વો અને સંગઠનોએ નફરતોના જે બી વાવ્યા છે તેને જડમૂળથી ઉખેડી ફેકવા મેદાનમાં આવે. બહુસાંસ્કૃતિક સમાજમાં ઇસ્લામે રહેવાની જે કળા શીખવી છે તેના ઉપર આચરણ કરે. ખૂબ જ ગહન વિચાર-મનન કરીને હું આ નિર્ણય ઉપર પહોંચ્યો છું કે સામાજિક અખંડતા, કોમી સૌહાર્દ અને ઇસ્લામ તથા મુસલમાનો વિશે જોવા મળતી ગેરસમજો, અણસમજો અને નફરતને દૂર કરવા સિવાય રાજનૈતિક મજબૂતી પ્રાપ્ત કરવાનો કોઈ ટૂંકો માર્ગ ઓછામાં ઓછો ભારતમાં તો નથી જ. અને કદાચ કોઈ જાતિગત ગઠબંધનના માર્ગે રાજનૈતિક દૃઢતા મળી પણ જાય તો તે “શાખે નાઝુક કા આશિયાં” જેવું હશે. જે ગમે ત્યારે તૂટી પડશે.

અંતમાં મુસલમાનોની વર્તમાન પરિસ્થિતિનું કારણ પોતાના મનસબ (પદ)થી અજાણ હોવું, આંતરિક વિખવાદ અને નેતૃત્વનો અભાવ છે. અને આ ત્રણેય કારણોનું મૂળ કુઆર્ન અને સુન્નતથી દૂરી છે. કોઈ ક્રાંતિકારી પરિવર્તન શક્ય નથી અને જો શક્ય હોય તો પણ તેમાં બગાડની શક્યતા વધારે છે તેથી સુધારણાવાદી માનસિકતા સાથે ધૈર્ય અને તત્ત્વદર્શિતાના શસ્ત્રથી સજ્જ થઈ સંઘર્ષ કરવાની જરૃર છે. આ કામ માટે જરૂરી છે કે કુઆર્નની આયતો પર વિચાર-મનન કરવામાં આવે. આંધળા અનુકરણના બદલે હદીસો પર સંશોધન કાર્ય કરવામાં આવે અને બદલાયેલી પરિસ્થિતિમાં નવા ઇજ્તેહાદ કરી મિલ્લતેને યોગ્ય નેતૃત્વ પૂરૃં પાડવામાં આવે. આ જ પ્રગતિનો એક માત્ર માર્ગ છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments