Saturday, April 20, 2024
Homeમનોમથંનફરજીયાત મતદાન

ફરજીયાત મતદાન

તંત્રી લેખ …

અબ્રાહમ લિંકનના સુત્ર Of the People, For the People and By the People વાળી આ લોકશાહી હવે લગભગ સીત્તેર વર્ષનો ગાળો વિત્યા પછી આજના રાજકારણીઓના પાપે Off the People, Ford the People and Buy the People સ્વરૃપની લોકશાહી આજે થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં રાજ્ય સરકારની છેલ્લા ઘણા સમયની મથામણ ને અંતે ભાજપ નિયુક્ત રાજ્યપાલે ફરજીયાત મતદાનને લગતા ખરડા પર મહોર મારી દિધી છે. જેના થકી સમગ્ર ભારતભરમાં ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું છે, જ્યાં મત આપવો એ નાગરીકો માટે કેવળ હક કે ફરજનો નહીં પરંતુ કાયદાપાલનનો મુદ્દો બની રહેશે. મત ન આપનાર હવે કાનુનની દૃષ્ટી એ ગુન્હેગાર સાબિત થશે. મત ન આપનારને કેવી રીતે અલગ તારવવા, તેમની સામે કોણે અને કેવા શિક્ષાત્મક પગલા લેવા તેની માર્ગદર્શિકા હજુ તૈયાર થવી બાકી છે. તેના અમલને લગતા ઘણા સવાલ હજુ ઉભા છે. જેના જવાબ હજુ શોધવા બાકી છે . તેમ છતાં, ટેકનીકલી ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં યોજાય રહેલી પંચાયતોની ચૂંટણીથી મતદાન ફરજીયાત બની જશે.

એ તો દેખીતુ છે કે મોટાભાગની બાબતોમાં નાગરીકોના અને સરકારનાં હીત ઘણે ભાગે તો વિરોધી હોય છે. ભારતીય લોકશાહીના અત્યાર સુધીના અનુભવોથી સ્પષ્ટ છે કે કોઈ પણ સરકાર લોકહિતના નામે કોઈ અંતિમ પગલુ ભરવાની વાત કરે ત્યારે સો વાર વિચારવાની જરૃર ઉભી થાય છે. તે માત્ર નાગરિકોના લાભ માટે કોઈપણ કાયદો લાવે, એમ માની લેવું અઘરું છે. ભારતમાં લોકશાહીના વર્તમાન ચૂંટણીલક્ષી મોડલમાં અસરકારક વાસ્તવિક્તાનો ભંગ થઈ ચુકયો છે. લોકશાહીના નામે માત્ર ભ્રમજાળ ઉભી કરવાનો પક્ષીય અને વ્યક્તિગત વફાદારીઓ મજબુત કરવાનો માત્ર ધંધો ચાલે છે.

અહિં આ નવિન કાયદાની ચર્ચાનો અમારો સાર માત્ર એટલો જ છે કે, લોકશાહીની તંદુરસ્તી અને તેના દૃઢીકરણને ટકાવારીથી અલગ પાડીને જોવાની જરૃર છે. વધારે મતદાન એટલે વધારે ધબકતી, વધારે જવાબદાર, વધારે ઉત્તદાયી લોકશાહી એવું સમીકરણ બેસાડી દેવાય એમ નથી. ખાસ કરીને લોકશાહીને વધુમાં વધુ પંગુ-બિનઅસરકારક બનાવનારા રાજકીય પક્ષો જો કહેતા હોય કે ‘ફરજીયાત મતદાનથી લોકશાહી સુદૃઢ બનશે’ ત્યારે તો ખાસ ચેતવું અને વિચારવું જોઈએ.

અહીં એક બાબત સ્પષ્ટ પણે ઉલ્લેખનીય છે કે ‘નોટા’ અને ‘ફરજીયાત મતદાન’નો તફાવત સ્પષ્ટ છે કે ‘નોટા’ બધા ઉમેદવાર સામે નારાજગીની અભિવ્યક્તિ છે, જ્યારે મત ન આપવો એ નારાજગીથી પણ એક પગથીયું ઉપર ઉદાસીનતા અને નિરાશાની, બેદરકારીની અથવા મજબૂરીની અભિવ્યક્તિ છે. મત આપવાના અધિકારમાં મત ન આપવાનો અધિકાર સંકળાયેલો છે કે કેમ, તે એક બંધારણીય ચર્ચાનો મુદ્દો છો. આવા સંજોગોમાં દેશના શાણા, સમજદાર અને જાગૃત નાગરિકોએ પ્રતિક સમા આવા કાયદાને બંધારણી રીતે પડકારવાની જરૃર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments