Tuesday, April 16, 2024
Homeઓપન સ્પેસપોતાનો બોજ અને જવાબદારી પોતે લો

પોતાનો બોજ અને જવાબદારી પોતે લો

સામાજિક મનોવિજ્ઞાનની ચર્ચાઓમાં નિયંત્રણના આંતરિક સ્ત્રોત (Internal Locus of Control)ને લચક અને સ્થિતિસ્થાપકતાની મુખ્ય આવશ્યકતા માનવામાં આવેલ છે. આનો અર્થ એ છે કે આપણે આપણો ‘ચાર્જ’ આપણે પોતે લઈએ. આપણે એ માની લઈએ કે આપણી બધી નબળાઈઓ કેવળ આપણા પોતાના કારણે છે. આપણે શિક્ષણમાં પાછળ છીએ, આપણી આર્થિક સ્થિતિ ખરાબ છે, જેલોમાં વધારે પડતા આપણા લોકો છે, રાજકારણમાં આપણો પ્રભાવ નથી, મીડિયામાં આપણા દૃષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ નથી થતું; તો આ બધાના કારણો સરકારની નીતિઓ, બીજાઓના પૂર્વગ્રહો અને પક્ષપાત, ફલાણા-ફલાણાના કાવતરાઓ વગેરેમાં જાેવાને બદલે આપણે આપણામાં જાેઈએ. આપણે એ માની લઈએ કે આ બધા માટે સૌથી વધારે આપણે પોતે, આપણું નેતૃત્વ, આપણા ચુનંદા અને ભદ્ર લોકો (Elites), આપણી સંસ્થાઓ અને સંગઠનો અને આપણો સમાજ જવાબદાર છે.

(હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધી બદલતો નથી જ્યાં સુધી તે સ્વયં પોતાના લક્ષણો બદલતી નથી – સૂરઃ રઅદ, ૧૧)

નવી રાજકીય પરિસ્થિતિનું એક હકારાત્મક પાસું એ સમજાય છે કે તેનાથી, ઇન્‌-શા અલ્લાહ, મુસલમાનો એ બનાવટી ટેકા-લાકડીઓને હટાવીને ફેંકી દેશે, જેમણે તેમને કૃત્રિમ રીતે અપંગ બનાવી રાખ્યા છે. સેક્યૂલર રાજકીય પક્ષો પર હદથી વધારે આધાર, પોતાની સમસ્યાઓના ઉકેલ માટે સરકારોથી અપેક્ષાઓ તેમજ માંગણીઓ અને વિરોધ-પ્રદર્શનોના રાજકારણે આપણી સામાજિક શક્તિને ક્રમશઃ નબળી કરી નાખી છે.

નિઃસંદેહ, આ દેશના નાગરિકની હેસિયતથી અહીંના સંસાધનોમાં આપણો હક્ક છે અને આપણે આપણો હક્ક પ્રાપ્ત કરવો જાેઈએ. પરંતુ હક્ક પ્રાપ્ત કરવાની આ કોશિશના પરિણામે આપણે આપણી સામૂહિક જવાબદારીથી ગાફેલ ન બનવું જાેઈએ અને ન તે આપણી નબળાઈનું કારણ બનવું જાેઈએ.

જે દિવસે આપણે આપણી સમસ્યાઓ માટે પોતાને જવાબદાર સમજીશું અને તેના ઉકેલનો પૂરેપૂરો ચાર્જ પોતે લઈશું, તો તે પ્રગતિ અને સફળતાના રાજ-માર્ગ પર આપણું પહેલું પગલું હશે. આપણી કોઈપણ નિષ્ફળતા માટે બીજાઓને જવાબદાર ઠેરવવાનું વલણ વાસ્તવમાં મેદાન છોડીને ભાગી જવું છે. જે વ્યક્તિ કે કોમને આ રીતે ભાગવાની આદત પડી જાય છે, તે ક્યારેફ સફળતા પામી શકતી નથી. સફળ વ્યક્તિ પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે છે. તેના પરિબળો બહારથી વધારે પોતાના અંદર શોધે છે. બાહ્ય પરિસ્થિતિ તેના કાબૂમાં નથી હોતી, તેથી તેને તે અલ્લાહને હવાલે કરે છે; અલબત્ત અંદરની પરિસ્થિતિ પર તેનું નિયંત્રણ હોય છે. તે તેની સુધારણા કરે છે. વધારે શક્તિ અને વધારે સમજદારીની સાથે ફરી કોશિશ કરે છે, ત્યાં સુધી કે તે સફળ થઈ જાય છે.

જ્યારે કે એક નિષ્ફળ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનો બધો ભાર બીજાઓ પર નાખીને સંતુષ્ટ થઈ જાય છે. નિષ્ફળતા પછી નિરર્થક વિલાપ અને વિરોધ સિવાય તેના પાસે કોઈ માર્ગ રહેતો નથી. આ જ મામલો કોમોનો પણ હોય છે. ભારતીય મુસલમાનોના વર્તમાન ઇતિહાસમાં આ વિલાપ અને વિરોધના વલણના ઘણા ઉદાહરણો મળી જશે.

જરૂર એ વાતની છે કે ભારતના મુસ્લિમ સમાજના આ સ્વભાવની સુધારણાનું અભિયાન ચલાવવામાં આવે. આપણી ક્ષમતાઓ અને શક્તિઓનો મોટો ભાગ પ્રતિક્રિયા પર આધારિત બાબતો (Reactive Issues)ના બદલે સક્રિય બાબતો (Proactive) પર લાગે. –•–

(સૌજન્યઃ પુસ્તક, ભારતીય મુસલમાનો-પડકારો, સંભાવનાઓ અને કાર્ય-પદ્ધતિ)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments