Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસક્યામુલલૈલ કેવી રીતે કરીએ ?

ક્યામુલલૈલ કેવી રીતે કરીએ ?

શુ આપ જાણો છો ?

રસૂલુલ્લાહ સ.અ.વ. રાત્રે રોજ તહજુદ પઢતા હતા. જ્યારે કે તેઓના આગળ-પાછળના સર્વે ગુન્હા માફ થઈ ગયા હતા.

રસૂલુલ્લાહ સ.અ.વ. બિમારીમા પણ તહજુદની નમાઝ છોડતા ન હતા.

રસૂલે પાક સ.અ.વ. પ્રવાસની હાલતમાં પણ તહજુદની નમાઝ પઢતા હતા.

રસૂલુલ્લાહ સ.અ.વ. યુદ્ધ મેદાનમાં પણ ક્યામુલલૈલ કરવાનું ચુકતા ન હતા.

ક્યામુલલૈલની મહત્તા :

દિવસમાં મુજાહીદ અને રાતમાં આબિદ અર્થાત ઇબાદત ગુઝાર વ્યક્તિ સાચા મોમિનની ઓળખ છે.

જેની રાત નુકશાનમા ગઈ. તેનો દિવસ નફા જન્ય થઈ જ શકતો નથી. દિવસની મેહનત તો રાતની ઇબાદતના આધાર ઉપર જ હોય છે.

સૂરઃ સજદામા રાત્રી ઇબાદત ગુઝારોની છબી ખૂબ સુન્દર અને હૃદય સ્પર્શ રીતે રજુ કરવામાં આવી છે.

હુઝૂર સ.અ.વ.એ કયામુલલૈલની ચાર સ્પષ્ટ વિશેષતાઓનું વર્ણન કરતા ફરમાવ્યું :
“કયામુલલૈલના પાબન્દ થઈ જાઓ કારણ કે
(૧) આ તમારાથી પહેલાના નેક બન્દાઓની ટેવ રહી છે
(૨) આ રબની સમિપતા પ્રાપ્ત કરવાનું માધ્યમ છે.
(૩) આ ગુનાઓની માફીનું કારણ છે
(૪) અને આ ગુનાઓથી દૂર રેહવાની યુક્તિ છે.”

ઇમામ હસન બસરી (રહ.) કહે છે “રાતની (તહજુદ) નમાઝથી વધારે સખત ઇબાદત મે જોઈ નથી”

એમનાથી જ્યારે પુછવામાં આવ્યું કે તહજુદ પઢનારાઓ માઢા આટલા સરસ કેમ હોય છે ? તેમણે જવાબ આપ્યો “એકાંતમાં રેહમાનથી દુઆમાં તલ્લિન થયા તો રેહમાન તેઓને પોતાના નૂરથી નવાજ્યા”

સામાન્ય રાતોની ઇબાદતની મહાનતામાં આ તો ઘણી આયતો, હદિષો અને કથનો મળે છે. પરંતુ રમઝાનની રાતોની મહાનતા કઇંક જુદીજ છે. નબવી ફરમાન પ્રમાણેઃ “જેમણે રમઝાનની રાતોને ઇમાન અને નિખાલસતા સાથે ઇબાદતમાં પસાર કરી, તેના બધા પાછલા ગુના માફ કરી દેવામાં આવશે.”

પછી ખાસ કરીને રમઝાનના છેલ્લા દસ દિવસો સંબંધમાં રસૂલૂલ્લાહ સ.અ.વ.નું વિશેષ અયોજનનું વર્ણન છે કે જ્યારે છેલ્લા દસ દિવસોની શરૃઆત થતી હતી તો આપ સ.અ.વ. કમ્મર કસીને તૈયાર થઈ જતા હતા. પોતાના ઘર વાળાઓને જગાડતા હતા અને રાતને જીવીત કરી દેતા હતા. આ વર્ણન હઝરત આયશા રદી.નું છે. અને રાતને જીવીત કરી દેવાની વ્યાખ્યાને તે સમજી શકે છે, જે રાત્રી ઈબાદત જાગરણ અને અડધી રાતના દૂઆના પ્રયોગોથી પસાર થઈ ચૂક્યો હોય.

પ્રેરક બળો :

એક વખત હુઝુર સ.અ.વ.એ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી. વિષે કહ્યું કે “અબ્દુલ્લાહ ઘણો સારો માણસ છે. અગર જો તે રાતમાં ઇબાદત પણ કરવા લાગે” સાલિમનું બયાન છે કે પછી અબ્દુલ્લાહે પોતાની ઉંઘ ખૂબ ઓછી કરી નાખી અને જીવન પર્યંન્ત કયામુલલૈલના પાબન્દ રહ્યા.

હઝુર સ.અ.વ.ની અબ્દુલ્લાહ બિન ઉમર વિષે સાક્ષી અને પછી સુભ સંકેત એક મોટુ પ્રેરક બળ હતુ. જેની ચળવળે તેમને જીવન પર્યંન્ત રાતની ઇબાદત ઉપર કાયમ રાખ્યા.

આપણા માટે પણ બધા પ્રેરક બળો અને મદદરૃપ સાધનો મૌજુદ છે, જેનું આયોજન કરવામાં આવે તો આ મહાન ઇબાદતના પાબન્દ થઈ જવું કોઈ મુશ્કેલ નથી. ઉલેમાએ કિરામે આ સંબંધમાં ઘણું બધું વર્ણન કર્યું છે.

દોઝખનો ડર અને જન્નતની ઇચ્છા :

એક બુઝુર્ગનું કેહવું હતું કે જહન્નમના વિચારે ઇબાદત ગુઝારોની ઉંઘ ઉડાવી મૂકી. બીજા બુઝુર્ગના કથન પ્રમાણે, જ્યારે હું જહન્નમને યાદ કરૃ છું તો અત્યંત ભયભીત થઈ જઉં છું. અને જન્નતને યાદ કરૃ છું તો તેની તલબ અપાર હોય છે. વાસ્તવમા આજ ભય અને આજ ઇચ્છા કયામુલલૈલનું પ્રેરકબળ બને છે.

ગુના અને નાફરમાનીથી બચવું :

ફઝીલ બિન અયાઝ કહ્યા કરતા હતાઃ જ્યારે તમે આ જુઓ કે તમે રાતે ઉઠી નથી શકતા અને દિવસે રોઝો નથી રાખી શકતા તો તમે અભાગી છો. અને બેડીઓમાં જકડાએલા છો. આ બેડીઓ તમારા ગુના છે. જેમણે તમને જકડી રાખેલ છે.

હસન બસરીથી એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે હું પૂરતી ઉંઘ લઉ છું, રાત્રે ઉઠવા માગુ છું, વુઝુ માટે પાણી પણ મૂકી દઉ છું, છતાં ઉઠી શકતો નથી? તેમણે જવાબ આપતા કહ્યું, તમારા ગુનાહોએ તમને બાંધી રાખ્યા છે. ઈમામ બસરીનું અનુભવ છે કે માત્ર એક ગુનાહના કારણે પાંચ મહિના સુધી કયામુલલૈલ (રાત્રિની ઇબાદત)થી વંચિત રહ્યા.

પોતાના રબથી વાતચીતની મજાનો વિચારઃ

અબૂ સુલેમાન કહે છે, રાત્રે ઇબાદત કરનારને જેટલી મજા આવે છે તેટલી મોજમસ્તી કરનારને આવી જ શકતી નથી, અને જો રાત્રિ ના હોત તો હું દુનિયામાં રહેવાને જ નાપસંદ કરત.

એક બુઝુર્ગે પોતાના મુરીદોને સંબોધન કરતા કહ્યું, વધુ ન ખાઓ, નહિતર વધુ પાણી પીશો, વધુ ઉંઘવું પડશે અને પરિણામે વધારે હાનિ ભોગવવી પડશે.

વધારે અય્યાશીથી દૂર રહેવું :

હઝરત લુકમાને પોતાના પુત્રને શીખામણ આપતા કહ્યું, વત્સ, જ્યારે પેટ વધુ ભરાઈ જાય છે તો વિચારવાની શક્તિ ઉંઘી જાય છે, બુદ્ધિમત્તા અને તત્વદર્શિતા મૂંગી થઈ જાય છે અને શરીરના અંગો ઇબાદતથી મન બચાવવા લાગે છે.

કેટલાક સંતોની બાબતમાં આવે છે કે તેઓ છત ઉપર અથવા આગણામાં ઉંઘતા હતા અને નરમ પથારીથી બચતા હતા કે કદાચ ઉંઘ ન આવી જાય.

ક્યામુલલૈલની નિયત કરીને વહેલા ઉંઘી જવાની ટેવઃ

હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.ના દિનચર્યા હતી કે તેઓ ઇશાની નમાઝ પછી લોકોને કોરડા ફટકારતા હોય કે રાત્રિના પહેલા ચરણમાં ગપસપ કરો છો અને અંતિમ ચરણમાં ઉંઘતા રહો છો.

બુઝુર્ગોનો અનુભવ છે કે વ્યક્તિ સાચા દિલથી જે સમય ઉઠવાનો ઇરાદો કરે છે તેની આંખ ખૂલી જાય છે. છતાં જાગૃત થવા માટે જે આયોજન કરી શકાતુ હોય તેનો પ્રયોગ કરવો જોઈએ. ભલે એ એલાર્મ હોય કે બીજુ કઇ.

કેટલાંક લોકો તહજ્જુદ ગ્રુપ બનાવી લે છે અને તેમનામાં જેની આંખ વહેલી ખૂલી જાય તે બીજાને ફોન કરી સાવધ કરી દે છે.

દિવસની ટૂંકી ઉંઘ :

આ ક્રિયાને અરબી ભાષામાં ‘કૈલુલા’ કહેવાય છે. પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)એ કહ્યું કે “સહરી ખાઈને દિવસમાં રોઝા રાખવાની શક્તિ મેળવો અને કૈલુલાથી કયામુલલૈલમાં મદદ મેળવો.” આપ (સ.અ.વ.)એ તો અહીં સુધી તાકીદ કરી છે કે કૈલુલા કરો કેમકે શૈતાન કૈલુલા કરતા નથી. સ્પષ્ટ છે શૈતાનને તહજ્જુદ તો અદા કરવી નથી પછી તેઓ કૈલુલા શું કામ કરશે.

ન જાગવા ઉપર સજાની નિયુક્તિ :

હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના એક સાથી તમીમ દારમી રદિ. વિશે આવે છે કે, એક વાર રાત્રે ઉંઘતા જ રહી ગયા. તેની સજા તેમના પોતાની જાત માટે આવી રીતે આપી કે તેઓ એક વર્ષ સુધી ન ઉંઘયા. સંભવ છે આ વાતમાં કોઈ અતિશ્યોક્તી થઈ હોય પરંતુ ઘટનાથી આ વાતતો સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ પોતાની ભૂલ ઉપર પોતાની જાતને સજા આપી. નફ્સ (મનેચ્છા)ને આજ્ઞાકાર અને ઉપાસક બનાવી શકે છે.

મદદ અને સામર્થ્યની પ્રાથના :

ઉંઘવા પછી વ્યક્તિ માત્ર અલ્લાહના આદેશ અને નિર્ણયથી જ જાગૃત થાય છે. તેથી અલ્લાહથી મદદ અને સામર્થ્યની પ્રાર્થના કરતા રહેવું જોઇએ.

પોતાના વડા પૈતૃકોનું જીવન અધ્યયન :

નબી (સ.અ.વ.)ના રાત્રિ જાગરણ (શબબેદારી)ના અહેવાલ, સહાબા રદિ, તાબઈન અને બીજા બુઝુર્ગોની રાત્રિ ઇબાદતોના અહેવાલ વાંચીને પણ ઉત્સાહ મળે છે. ચળવળ પેદા થાય છે.

ટેવ :

ટેવ પોતે જ એક પ્રેરક છે. અલ્લાહે જે વાતનો આદેશ આપ્યો છે તે વાસ્તવમાં સરળ હોય છે. મનેચ્છાઓનંું તેને તાબે ન હોવું મુશ્કેલ બનાવી દે છે. જો વ્યક્તિ પોતાને તેનો આદિ બનાવી લે તો તેને આ કાર્યોમાં એટલી મજા આવશે કે તેના વગર જીવન નિરસ લાગશે.

કેટલીક માર્ગદર્શક વાતો :

* રાત્રિની ઇબાદત અંધારામાં થવી જોઈએ. પ્રકાશ અને ખાસ કરીને વધુ રોશની ‘ખુશુઅ’ (ભય, તલ્લીન)માં આડ બની જાય છે. વીજળીના બલ્બોનું આત્મીય પ્રકાશ સાથે મેળ થવું ખૂબ જ મુશ્કેલ છે.

* નમાઝ વ્યક્તિગત અને એકલતામાં હોય અને અવાઝ થોડી ઉંચી હોય. ન એવી હોય કે તમે પોતે પણ ન સાંભળી શકતા હોવ, ન બહુ ઊંચી. રાત્રિના નમાઝના વિશેમાં એકવાર પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) હઝરત અબુબકર રદિ.ને હિદાયત આપી કે અવાઝ થોડી ઊંચી રાખો.

* કયામ, રૃકૂઅ, સજદા લાંબા કરો. કયામ (ઉભા રહેવુ)ની સ્થિતિમાં લાંબી સૂરતો પઢો, કંઠસ્થ ન હોય તો એક જ રકઅતમાં વિવિધ નાની સૂરતોની તિલાવત કરો અને તે પણ યાદ ન હોય તો એક બે સૂરતને જ વારંવાર પઢો.
* રૃકૂઅ અને સજદાની સ્થિતિમાં તસ્બીહ (પ્રશંસા મંત્ર) વારંવાર પઢવી જોઈએ. સજદાની સ્થિતિમાં તસ્બીહ સિવાય દુઆ પણ માગી શકાય. એક એક દુઆઓ વારંવાર પઢો, રટન કરો. ક્યારેક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે લાંબી નમાઝ કઈ રીતે અદા કરે. તેમના માટે કેટલીક સલાહ છે જે લાભદાયી નિવડશે.
* કયામુલલૈલના અમલોમાં નમાઝ, તિલાવત (કુઆર્ન પઢવી), ઝિક્ર અને દુઆ વિચાર મનન કરવું બધુ શામેલ છે. નમાઝ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય છે. તેના વગર કયામુલલૈલનો વિચાર જ કરી શકાય નહીં.
* રાત્રિની નમાઝ અને વિશેષરૃપે રમઝાનની રાત્રિની ખાસ દુઆ ‘હે મારા અલ્લાહ, તુ મને ક્ષમા કરવાવાળો છે, ક્ષમા કરવું તને પસંદ છે, અમને ક્ષમા કરી દે.’ આ નાનકડી દુઆ આપણા કયામુલલૈલને ખૂબ બરકતવંત અને લાભદાયી બનાવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments