Thursday, April 25, 2024
Homeસમાચાર'ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!' અભિયાનનો સમાપન કાર્યક્રમ અહમદાબાદ ખાતે સંપન્ન

‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ અભિયાનનો સમાપન કાર્યક્રમ અહમદાબાદ ખાતે સંપન્ન

અહમદઆબાદ,

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા ગત તા. ૨૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન “ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!”નો અભિયાન સમગ્ર ગુજરાતમાં યોજાયો હતો જેનો સમાપન કાર્યક્રમ તા. ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ રવિવારે ટાઉન હૉલ, અહમદાબાદમાં જમાઅતના સેક્રેટરી જનરલ મુહમ્મદ સલીમ એન્જીનિયરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. કુઆર્ન પઠન બાદ અભિયાનના કન્વિનર ઇકબાલઅહમદ મિર્ઝાએ સ્વાગત પ્રવચનમાં આ ઝુબેશનો હેતુ, તેની સમજૂતી અને તેના વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે માનવજીવનમાં અને વિશ્વમાં દેખાતો ઉપદ્રવ… દેખાતી બેચેની ઈશ્વરીય માર્ગદર્શનથી અનભિજ્ઞતા છે,… તો ક્યાંક વિમુખતા છે.

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર શકીલઅહમદ રાજપૂતે પ્રારંભિક પ્રવચન આપતાં કહ્યું હતું કે ધર્મ મનુષ્યને મનુષ્યથી જોડે છે. જે તોડવાની વાત કરે એ ધર્મ નથી હોઈ શકતો. ઇસ્લામ ફકત કર્મકાંડ અને પૂજા ઉપાસનોનું નામ નથી બલ્કે આ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. વધુમાં જણાવ્યું કે સમાજમાં વિવાદ નહીં  સંવાદનો માહોલ બનવો જોઈએ, કેમકે સંવાદથી પ્રેમ વધે છે અને વિવાદથી વિભાજન થાય છે.

બ્રહ્માકુમારી સંપ્રદાયથી પધારેલ ડૉ. મમતા શર્માએ જણાવ્યું કે બધા મનુષ્યો એક જ માતા-પિતાની સંતાન છે. તેમણે કહ્યું કે ઈશ્વરને તમારી બધી લાગણીઓ સમર્પિત કરો. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મહિલા વિભાગના સેક્રેટરી આરેફા પરવીને કહ્યું કે સમગ્ર માનવતા આ વાતની સાક્ષી આપે છે કે આપણો પાલનહાર-સર્જનહાર એક જ છે. ઇસ્લામ ફકત મુસલમાનોનો દીન નથી બલ્કે સમગ્ર માનવતા માટે છે, પયગમ્બર કોઈ એક સંપ્રદાય માટે નથી બલ્કે સમગ્ર માનવતાના પયગમ્બર છે.

નિવૃત્ત આઇ.પી.એસ. ઑફિસર રાજન પ્રિયદર્શીનીએ કહ્યું કે લોકોમાં ઇસ્લામ વિષે ગેરસમજ બલ્કે અજ્ઞાનતા છે.  તેમણે કહ્યું કે ઇસ્લામી શિક્ષણના સંદર્ભમાં લોકોમાં ઘણી-બધી ગેરસમજો છે જેને દૂર કરવાની જરૃર છે. દેશમાં આતંકવાદની વાસ્તવિકતાને સમજવા માટે ‘કરકરે કા કાતિલ કોન’ આ પુસ્તકનું અધ્યયન કરવાનું કહ્યું હતું. દિલ્હીથી પધારેલ એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રિય સચિવ સૈયદ અઝહરૃદ્દીને કે સમગ્ર સૃષ્ટિનો સર્જનમાં માનવી સર્વશ્રેષ્ઠ સર્જન છે. તેમણે ઇસ્લામમાં એકતા-સમાનતા અને ન્યાયની વાત ઉપર ભાર મૂક્યો હતો. ગાયત્રી પરિવારના એસ.કે. પાંડેએ કહ્યું કે આ સંપૂર્ણ સૃષ્ટિ સર્જનહારનો ઉપહાર છે. વધુમાં કહ્યું કે વિષ પીવડાવનારાઓને અમૃત પીવડાવીએ અને અમૃત પીવડાવનારાઓને વિષ આપીએ તો દુખો જ જન્મશે.

જમીઅતે ઉલેમાના નાયબ પ્રમુખ મુફતી અબ્દુલ કૈય્યૂમે કહ્યું કે વર્તમાન સમયમાં મુસ્લિમો જે તકલીફોનો સામનો કરી રહ્યા છે તેના માટે પ્રથમ હું અને મુસ્લિમ ઉમ્મત પોતે જવાબદાર છે. આપણે આપણા દેશબાંધવોને નથી સમજાવી શકતા કે ઇસ્લામ એક ઉપહાર છે સૌના માટે. તેમણે અલ્લાહના રસૂલ સ.અ.વ.નું ઉદાહરણ આપતાં કહ્યું કે આપના કટ્ટર વિરોધીઓ ઇસ્લામના સમર્થક કેવી રીતે બની ગયા?. આપણે અન્યો માટે હૃદયથી દુઆ પણ નથી કરી રહ્યા. હલાકતની દુઆ તો કરી છે પણ હિદાયત માટે નથી કરતા. તેમણે કહ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા સમગ્ર મિલ્લત તરફથી ફર્ઝે કિફાયા અદા કરાઈ રહ્યો છે.

અધ્યક્ષીય પ્રવચન આપતાં મુહમ્મદ સલીમ એન્જિનિયરે કહ્યું કે આ જગત અને સૃષ્ટિ, સર્જનહારના અગણિત ઉપહારોથી છલોછલ ભરેલી છે. આ ઉપહારોના સદ્ઉપયોગ દ્વારા માનવીએ પોતાના જીવનને સહજ અન ેસરળ બનાવ્યું છે. સર્જનહાર અને પાલનહાર કુઆર્નમાં નિર્દેશ કરે છે, જીવન વ્યવસ્થાને સંપૂર્ણ કરી દીધી છે અને ઉપહારોને પરિપૂર્ણ કરી દીધા છે. તેમણે જમાઅતનો પરિચય કરાવતાં કહ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ ૧૯૪૮થી ભારતવર્ષમાં કાર્યરત્ છે. તે નૈતિક મૂલ્યો માટે પ્રયત્નશીલ છે. ઇસ્લામને વ્યક્તિગત અને સામૂહિક રીતે નમૂનો રજૂ કરવા પ્રયત્નશીલ છે. સલીમ એન્જીનિયરે ન્યાય-શાંતિનો સંદેશ ઇસ્લામ અનુસાર જીવન વ્યતીત કરવા ઉપર ભાર મૂક્યો અને બીજા માટે નમૂનો બનવાની વાત કરી. તેમણે કહ્યું કે  દરેક સમયે, દરેક ભૂ-ભાગમાં ઈશદૂતો મોકલવામાં આવતાં રહ્યા છે. જે રીતે સૂર્ય-ચંદ્ર પર કોઈ એકનો એકાધિકાર નથી એ જ રીતે ઇસ્લામ, કુઆર્ન અને પયગમ્બરો ઉપર ફકક મુસ્લિમોનો એકાધિકાર નથી. આ સૌના માટે છે  માનવોને ઊંચનીચ કરનાર, વિભાજિત કરનાર ઇશ્વરીય ધર્મ ન હોઈ શકે.

આ અભિયાન દરમિયાન ગુજરાતમાં ૭૫થી વધુ શાળાકોલેજો, પોલીસ મથકો, સામાજિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, મોટી હોસ્પિટલો, મહિલા મંડળો ઉપરાંત વિવિધ સમાજોના આગેવાનો, જુદા જુદા વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો, સરપંચો, ઓફિસરો, સરકારી કર્મચારીઓ, લેખકો, સાહિત્યકારો તેમજ બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો, બગીચાઓ વગેરે જાહેર સ્થળોની પણ મુલાકાત કરી લોકો સાથે ધાર્મિક સંવાદ તેમજ  ચર્ચા ગોષ્ઠિઓ અને જાહેર કાર્યક્રમો વગેરે યોજી જરૂરી સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું તેમજ સોશિયલ મીડિયા થકી પણ લોકો સુદ્ધા સંદેશ પહોંચાડવામાં આવ્યો. આ અભિયાન દરમિયાન સૌનો સહિયારો અભિપ્રાય સાંપડ્યો હતો. સમગ્ર અભિયાન દરમિયાન ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો અને સોશિયલ મીડિયા થકી પચાસ લાખથી વધુ લોકો સુધી ઈસ્લામનો સંદેશો પહોંચાડી ગેરસમજોને  દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન સમાજના નાગરિકો અને ધર્મગુરૃઓ ઉપરાંત મહિલાઓ અને યુવાઓ સહિત સામાન્ય જનસમુદાયનો ધર્મ પ્રત્યે જાણવાનો અનેરો ઉત્સાહ અને જિજ્ઞાસા થકી મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી આવા કાર્યક્રમો અભિયાન ‘ઈસ્લામ એક ઉપહાર, સૌના માટે’ પછી પણ અનેક કાર્યક્રમો સતત ચાલતા રહેશે તેમ જણાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments