Friday, April 19, 2024
Homeમનોમથંનઇસ્લામોફોબીયા શા માટે ?

ઇસ્લામોફોબીયા શા માટે ?

દુનિયામાં ઇસ્લામ નામનો શબ્દ લોકો માટે શાંતિ પ્રેમ અને કરૃણા સમાન છે. અનેક ધર્મોમાં માનનારા દુનિયામાં રહે છે પરંતુ તેમના જીવનમાં કોઈપણ પ્રકારનો લગાવ તેમના ધર્મ પ્રત્યે જોવા નથી મળતો. ઇસ્લામ ફકત ધર્મ નથી કે તેમાં રીતરિવાજો, લગ્ન મૃત્યુ, જન્મ, ઉત્સવો અને તહેવારો જ હોય પરંતું આ એક સંપૂર્ણ જીવન જીવવાનો માર્ગ છે. જેમાં વ્યક્તિનો વ્યક્તિ સાથે સંંબંધ, એકબીજાના હક્કો અને ફરજો, દંડ, મૃત્યુ પછીનો જીવન, સામાજિક, આર્થિક, આધ્યાત્મિક, સ્વર્ગ-નર્ક વગેરે બાબતો સમાવી લેવામાં આવી છે. એટલે કે જીવનના કોઈપણ ભાગ કે પ્રસંગમાં વ્યક્તિએ કેવી રીતે રહેવું, જોવું અને પ્રસ્તુત કરવું તે બતાવે છે.

આશ્ચર્યની વાત છે કે લોકોમાં ઇસ્લામ પ્રત્યે ડર, અને ઘબરાટ જોવા મળે છે. કેટલાકને ગુસ્સો પણ આવે છે, તો કોઈ ઇસ્લામનું શિક્ષણનું મજાક ઉડાવે છે, કોઈ ઇસ્લામને આતંકવાદ સાથે જોડે છે. તો કોઈ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાન સમજે છે. વિચારવા લાયક બાબત છે કે એકલા ઇસ્લામ માટે જ એટલો વિરોધ શા માટે છે? શા માટે ઇસ્લામના વિરોધમાં પુસ્તકો લખાય છે? લોકોને આ ધર્મથી દૂર રાખવાનું આયોજન કરવામાં આવે છે છતાં દુનિયામાં સૌથી ઝડપથી ફેલાઈ રહ્યુ છે?

વિશ્વમાં રાજ કરવાના સ્વપ્નો જોનારા, લોકોને માનસિક રીતે ગુલામ બનાવીને તેમનું શોષણ કરનારા, દુનિયાની દોલતને લૂંટનારા એવા આંતરરાષ્ટ્રીય ચાલબાજો સિફતપૂર્વક લોકોને ઇસ્લામથી દૂર રાખવાનો પ્રયત્ન દાયકાઓ કરી રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો વિકાસ નહોતો થયો ત્યારે પણ ઇસ્લામથી લોકોને દૂર રાખવાના પ્રયત્નો થતા પરંતુ તેની અસરો મર્યાદિત રહેતી. ટેકનોલોજીના વિકાસ સાથે દુનિયાના લોકો એક બીજાથી જોડાયેલા રહે છે અને માહિતી સંચારના માધ્યમો એટલા વધી ગયા કે આખા વિશ્વમાં કોઈપણ વાતને ફેલાવવું એકદમ આસાન બની ગયુ છે. ઇસ્લામના દુષ્પ્રચારનો મૂળ આશય આ જ છે કે લોકોને ઇસ્લામથી દૂર રાખવામાં આવે. પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લ. જ્યારે ઇસ્લામની દાવત મક્કાવાસીઓને આપી તો મક્કાના સુખી-સંપન્ન અને રાજનૈતિક લાભ ધરાવતા અબુજહલ, અબુસુફિયાસ, કાબ-બિન-અશરફ વગેરેએ આમ જનતાને મુહમ્મદ સલ્લ.થી દૂર રાખવાનું આયોજન કર્યું. તેમના ખબર હતી કે જો લોકો ઇસ્લામને સમજી ગયા તો અમારી રાજનૈતિક ગાદી ખતરામાં આવી જશે. અમારૃં લોકો પર રાજ ખતમ થઈ જશે અને અમારો દબદબો અને માન-સંમાન ખતમ થઈ જશે. જે ઇસ્લામ વિરોધી માનસિકતા આજથી લગભગ ૧૪૫૦ વર્ષ પહેલા હતી તેમાં એક વાળ બરાબર ફેર નથી પડયો ફકત તેના રસ્તા જ બદલાયા છે.

ઇસ્લામને બદનામ કરવા માટે ૯/૧૧નો ‘સુંદર’ આયોજન કરવામાં આવ્યું. જેમાં ઇસ્લામને આતંકવાદ સાથે જોડવાનું કાવતરૃં હતું. ઇસ્લામ ધર્મ અને આતંકવાદ એક બીજાના પર્યાય હોય તેવું ચર્ચાવવા પણ લાગ્યું. છેવટે દુનિયામાં સારી સમજ ધરાવતા લોકોમાં જીજ્ઞાસા થઈ કે આ ધર્મમાં એવું તો શું છે જે લોકોને જાનથી મારી નાંખવાની તાલીમ આપે છે??? એવું તો કોઈ ધર્મ નથી શીખવાડતો??? આખરે લોકોએ ઇસ્લામી શિક્ષણનું અભ્યાસ કર્યું અને ૯/૧૧ પછીના દસકામાં ઇસ્લામ કુબુલ કરનારા લોકોની સંખ્યા એક મીલિયનથી વધુ થઈ ગઈ અને આ સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. અમેરિકા, બ્રિટેન, ફ્રાંસ, ઇટલી, સ્પેન વગેરે ‘વિકસિત’ દેશોમાં ઇસ્લામ રોકેટ ગતિએ ફેલાઈ રહ્યો છે.

ઇસ્લામથી નફરત કરનારા લોકો ખરેખર તેનાથી નફરત નથી કરતા પણ તેઓ ઇસ્લામથી ડરે છે, કે આ ધર્મની નજીક જે જશે તે પોતાના હક્કો અને ફરજો સમજી જશે. અને સમાનતા, બંધુતા અને સુખ-શાંતિનું રહસ્ય તેના પર ખુલી જશે. તેઓ નથી ઇચ્છતા કે ઇસ્લામની નજીક લોકો જાય. તેઓ નથી ઇચ્છતા કે સમાનતા સ્થાપાય. તેઓ નથી ઇચ્છતા કે તેમના આર્થિક લાભોને નુકસાન થાય.

ઇસ્લામી શિક્ષણમાં વ્યાજનું હરામ હોવું પડદાની પાબંદી હોવી, સ્ત્રીના હક્કો અદા કરવા, અન્યાય, અત્યાચાર અને શોષણ કરનારને સજા કરવી, ન્યાય અને સમાનતાની સ્થાપની કરવી વગેરે બાબતો હંમેશા દુનિયાના લોભીઓને નથી ગમી અને ગમશે પણ નહીં. કેમકે તેઓ ડરે છે કે અમારી દોલત છીનવાઈ જશે, અને જે શોષણ અને અત્યાચાર અમે કરતા રહ્યા તે બંધ થઈ જશે.

દેશમાં પણ ઇસ્લામ પ્રત્યે નફરત અને દ્વેષનું વાતાવરણ ફેલાય તેવું લગભગ છેલ્લા ત્રણ દાયકાથી બની રહ્યંી છે. આ દેશે ૧૯૯૨ અને ૨૦૦૨ના ભયંકર કોમી રમખાણો જોયા. જેના મૂળમાં ઇસ્લામ પ્રત્યે દ્વેષ અને નફરત હતી. હકીકત છે કે દેશની ધુરા આઝાદી પછી પણ હંમેશા એવા લોકોની પાસે રહી છે જેઓ આંતરરાષ્ટ્રીય ઇસ્લામ વિરોધી એજન્ડાને સફળ બનાવવાના એજન્ટ જેવા છે. ઇસ્લામના શિક્ષણ વિરૂદ્ધ કાયદા બનાવવા, મુસ્લિમોને તેમના ધર્મ પર અમલ કરવાની પુર્તી સ્વતંત્રતા પર તરાપ મારવા, તેમના લાગણી ઉશ્કેરવા માટે જુદા જુદા રસ્તાઓ અપનાવવામાં આવે છે. જેમકે ઇસ્લામના વ્યક્તિગત કાનૂન (પર્સનલ લૉ)ને ચેલેન્જ કરવું, અઝાન માટે ઉપયોગમાં લેવાતા માઈકને મુદ્દો બનાવવા, કુઆર્ની આયતોમાં જ્ઞાન વગર ખોડ-ખાપણ અને ભૂલો કાઢવી, પયગમ્બર મુહમ્મદ સલ્લ. પર અભદ્ર શબ્દો અને ટીપ્પણી કરવી લોકોમાં ઇસ્લામની ગેરસમજ ફેલાવવા માટે ભાષણો, પુસ્તકો, નોવેલનો ઉપયોગ કરવામાં આવે છે. ફકત એટલા માટે કે તેઓ નથી ઇચ્છતા કે ઇસ્લામની નજીક લોકો જાય. તેને સમજે અને તેને અપનાવે. આટલું કરવા છતાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઇસ્લામને સમજવા માટે લોકો કુઆર્ન વાંચી રહ્યા છે, પયગમ્બર મુહમ્મદ સલ્લ.નો પવિત્ર જીવન વાંચી રહ્યા છે અને ઇસ્લામને કબુલ કરી રહ્યા છે.
ઇસ્લામ વો પોદા હૈ કાટો તો હરા હોગા
તુમ જિતના તરાશોગે ઉતના હી બડા હોગા

દરેક વ્યક્તિએ કોઈપણ પ્રકારના ઇસ્લામના પૂર્વગ્રહથી પર રહી એકવાર કુઆર્નને વાંચવું અને સમજવું જોઈએ. પયગમ્બર મુહમ્મદ સલ્લ.નું જીવન ચરિત્ર વાંચીને સમજવું જોઈએ કે ઇસ્લામ એકમાત્ર ધર્મ છે જે જીવનના દરેક મામલે વ્યક્તિનું માર્ગદર્શન કરે છે.

ઇસ્લામનો વિરોધ કરનારા અને તે ફેલાઈ ન જાય તેવા ડરથી પોતાની રાજનૈતિક, સામાજિક અને આર્થિક સદ્ધરતાને ટકાવી રાખવા માટે એન-કેન-પ્રકારેણ ઇસ્લામ વિશે એલફેલ બકવાસ કરનારા જાણીલેે ઇસ્લામ સમગ્ર દુનિયા પર છવાઈને જ રહેશે.

“આ લોકો પોતાના મોઢાની ફૂંકો વડે અલ્લાહના પ્રકાશ (નૂર)ને ઓલવવા માગે છે, અને અલ્લાહનો નિર્ણય એ છે કે તે પોતાના પ્રકાશને સંપૂર્ણપણે ફેલાવીને રહેશે ચાહે ઇન્કાર કરનારાઓને આ કેટલુંય અપ્રિય હોય.”
(સૂરઃ અસ્-સફ્ફ-૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments