Thursday, April 25, 2024
Homeમાર્ગદર્શનકુર્આનઅપેક્ષિત ગુણ અને કુઆર્ન

અપેક્ષિત ગુણ અને કુઆર્ન

આપણે તે જ વસ્તુને પસંદ કરીએં છીએં જેમાં કોઈ ખોટ અને ખરાબી ન હોય, બલ્કે તેમાં ખૂબી અને સારાપણું જોવા મળતું હોય, જે ગુણયુક્ત હોય. આ સંબંધે જે ગુણ અપેક્ષિત છે તે મૌલિક રૃપે ત્રણ છે. (૧) ઉત્તમતા એટલે કે તે ઉત્તમ હોય. (૨) સ્થાયિત્વ એટલે કે તે સ્થાયી હોય અને (૩) અવિલંબ એટલે કે તેને મેળવવામાં વધુ વિલંબ ન થાય.

હવે આપણે પ્રથમ અપેક્ષિત ગુણને જોઈએ. આપણે એ જ વસ્તુને પસંદ કરીએં છીએ જે સારામાં સારી હોય. તેનામાં સુંદરતા પણ હોય અને તેનાથી આપણને સુખ પણ પ્રાપ્ત થઈ શકતું હોય, તેનાથી આપણે આનંદિત પણ થઈ શકીએ અને તેને ઉપયોગમાં લાવવાથી કોઈને હાનિ પહોંચવાની આશંકા પણ ન હોય. દા.ત.  આપણે તે ફળ ખાવાનું પસંદ કરીશું જે મીઠું – સ્વાદિષ્ટ, સુગંધિત અને જોવામાં પણ સારૃં દેખાતું હોય. આપણને તે જ કેરી ખાવાની ગમે છે જે મીઠી અને રસદાર હોય છે, અને જેનો આપણી પાચનક્રિયા ઉપર કોઈ દુષ્પ્રભાવ પડતો ન હોય. સાથે આપણે એ પણ ઇચ્છીશું કે તે ફળ એટલી અલ્પ સંખ્યામાં ન હોય કે આપણી સ્વાભાવિક ઇચ્છાની પૂર્તિ ન થઈ શકે.

આ જ રીતે આપણે પોતાના માટે તે મકાનને પસંદ કરીશું જે મોટુંુ અને હવા ઉજાસવાળુંુ હોય અને તેમાં કોઈ પ્રકારની સંકડાશ મહેસૂસ ન થાય. આપણે એમ પણ ઇચ્છીશું કે આપણું તે મકાન મનોહર જગ્યાએ હોય. મકાન સાથે બગીચો પણ હોય અને સમીપમાં કોઈ નદી પણ વહેતી હોય. તે સાથે આપણે એ પણ વિચારીશું કે આપણું મકાન પૃથ્વીના એવા ભૂભાગમાં હોય જ્યાં જળ-વાયુ સંતોલનથી હોય, કષ્ટદાયક અને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય. અને કદાચ આપણે એ પણ ઇચ્છીશું કે આપણા પાસ-પાડોશના લોકો સભ્ય હોય. ખરાબ પ્રકૃતિના લોકો સાથે રહેવું આપણે પસંદ નહીં કરીએ.

કોઈ વસ્તુ બાબતે બીજો અપેક્ષિત ગુણ એ છે કે વસ્તુ આપણને પ્રાપ્ત હોય તે વધુ પડતી હંગામી ન હોય કે હજુ તો આપણે તેનો પૂરો આનંદ મેળવ્યો પણ ન હોય અને તે વસ્તુ આપણા પાસેથી છીનવાઈ જાય. આપણે ઇચ્છીશું કે આપણી પસંદની વસ્તુ આપણી મિલ્કત હોય. છીનવાઈ જવાવાળી વસ્તુ સુખથી વધારે દુઃખ આપી જાય છે. મનુષ્ય તે જ વસ્તુની કામના કરે છે જે તેને સ્થાયી સ્વરૃપે પ્રાપ્ત હોય. તે સ્વાસ્થ્ય માગે છે તો સદેવ માટે હોય, તે એવા ધનની ઇચ્છા કરે છે જે સમાપ્ત ન થાય, તે નથી ઇચ્છતો કે અમુક દિવસો માટે તે ધનવાન થઈ જાય અને પછી તે નિર્ધન થઈને અહીં તહીં ભટકયા કરે.

મકાન ઇચ્છે છે તો એવું કે તે મકાન તેનું જ હોય. એવું ન થાય કે મકાન તો ઘણું સારૃં હોય પરંતુ અમુક દિવસો પછી તે મકાન તેના પાસેથી લઈ લેવામાં આવે. અને તે મકાન વગરનો બની જાય. અથવા તેને કોઈ એવા મકાનમાં રહેવું પડે જે તંગ હોય અને જેના નજીક ગંદા પાણીનું નાળુ વહેતું હોય અને મચ્છરો હેરાન કરતા હોય.

કોઈ વસ્તુ સંબંધે ત્રીજો ગુણ જેની આપણે ઇચ્છા કરીએ છીએ તે એ છે કે તેને પ્રાપ્ત કરવામાં વધારે પડતો વિલંબ ન થાય. કેમ કે પ્રાપ્ત થનારી વસ્તુ ઇચ્છાનુસાર સમયસર નથી મળતી તો તેને અલભ્ય સમજવામાં આવશે, તે તેના પક્ષે એક ક્ષતિ છે. કોઈ વસ્તુને મળવામાં સ્વભાવિક રીતે જે વિલંબ થાય છે તેને ક્ષતિ ન કહી શકાય. એક બાળક જન્મતાંના સાથે જ યુવાન નથી થઈ જતો, તેમાં સમય લાગે છે. અને આ પ્રતિક્ષાકાળ પણ સુખદ હોય છે. બાલ્યાવસ્થા કેટલી મનમોહક હોય છે, પછી તેને સ્વપ્નમાં પણ નથી મળી શકતો. બાળપણમાં બાળકની ભોળી આંખો અને અબોધ બાળકની ચંચળતાનું પણ એક મૂલ્ય હોય છે, જેની ઉપેક્ષા કરી શકાતી નથી. વળી બાળપણમાં બાળક ઉપર ઘર-ગૃહસ્થીનો કોઈ ભાર નથી હોતો. રમવા માટે પણ તેની પાસે પર્યાપ્ત સમય હોય છે અને કંઈ શીખવા અને શિક્ષણ પ્રાપ્ત કરવાના અવસર પણ તેને પ્રાપ્ત હોય છે. આગળ જઈને જીવનની વ્યસ્તતામાં જેની તકો મળવી તદ્દન મુશ્કેલ હોય છે તે એકાગ્રતાપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરી શકે અથવા કોઈ કાર્યમાં કુશળતા કે નિપૂણતા પ્રાપ્ત કરી શકે.

જે ત્રણ ગુણોની ચર્ચા આપણે કરી છે તેમના અપેક્ષિત ગુણો હોવામાં શંકા કરી શકાય તેમ નથી, પરંતુ જ્યારે આ ત્રણ ગુણોને પોતાની સામે રાખીને માનવજીવન ઉપર દૃષ્ટિ કરીએ તો અમુક વિચારણા માંગી લેતા તથ્યો આપણા સામે આવે છે. આપણે ઇચ્છીએ છીએ કે તથ્યોના આધારે જીવન પ્રત્યે આપણે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચીએ જેનાથી જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ સાચો અને વાસ્તવિક હોય. આપણે જીવન અને જગતને તેના વાસ્તવિક સ્વરૃપમાં જોઈ શકીએ અને દરેક પ્રકારના ભ્રમ અને છેતરપીંડીથી બચીને જીવન સંબંધી સમસ્યાઓને વાસ્તવિક દૃષ્ટિથી જોઈ શકીએ. સમસ્યાઓનું સમાધાન પણ તે જ વાસ્તવિક દૃષ્ટિથી જોવા ઉપર નિર્ભર કરે છે. આ સંબંધે કુઆર્ને આપણું સંપૂર્ણપણે માર્ગદર્શન કર્યું છે.

જ્યારે આપણે ગંભીરતાપૂર્વક માનવજીવન પર વિચાર કરીએ છીએ તો ઘણાં તથ્યો આપણી સામે આવે છે. એક તરફ માનવજીવનની પાછળ સૃષ્ટિના સર્જનહારની શક્તિ, સામર્થ્ય અને તેની અનહદ અનુકંપા ક્રિયાશીલ દેખાય છે, લોકોની આંખોમાં સુંદરતા, તેમના મુખારવિન્દ, તેમની વિવેકબુદ્ધિ અને તેમની સંવેદનશીલતા જોઈને આપણેે આશ્ચર્યચક્તિ બની જઈએ છીએ. આપણે જોઈએ છીએ કે ઈશ્વરે માનવ ઉપર પોતાની દયાની સંપૂર્ણ વર્ષા કરી છે. પરંતુ બીજી તરફ આપણને અમૂક એવા પાસાઓ પણ દેખાય છે જેનાથી અમુક એવા પ્રશ્ન ઉદ્ભવે છે જેના ઉત્તર મેળવ્યા વિના આપણે એ દાવો કે માનવજીવનથી આપણે સારી રીતે પરિચિત છીએ, તદ્દન ખોટા હશે. આપણે પોતાની વાતના આરંભમાં જ ત્રણ ગુણોની ચર્ચા કરી છે, તેને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે માનવજીવનનું નિરીક્ષણ કરીએ છીએ તો આપણે જોઈએ છીએ કે આ જીવન પોતાની ઉત્તમતા હોવા છતાં અપૂર્ણ છે, અને પોતાની અપૂર્ણતાને છુપાવવામાં અસમર્થ છે. આ જીવનમાં જ્યાં સુખ છે ત્યાં દુખની પણ કમી નથી. માનવ ઇતિહાસ સાક્ષી છે કે ધરતી ઉપર વારંવાર રકતપાત થયા. નિર્ધન અને નિર્બળ લોકોને સતાવવામાં આવ્યા. શાસક અને સત્તાધારી કે ધનિક વર્ગ સાધારણ રીતે આ ધરતીને ઉપદ્રવથી ભરતા રહ્યા છે. બે વિશ્વયુદ્ધોની ભીષણતા આપણી સામે છે. અત્યારે પણ વિશ્વમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. જેની પાસે શક્તિ છે, તેની દૃષ્ટિમાં અન્યાય પણ ન્યાય છે. જો તે પોતાના હિતમાં હોય. જૂઠ પ્રપંચ છેતરપીંડી અને એવી કયા કપરાપાર છે જે એકબીજાના વિરુદ્ધ નિઃસંકોચ અપનાવવામાં ન આવી રહ્યા હોય.

જ્યારે આપણે બીજી અપેક્ષિત ગુણો દૃષ્ટિ સમક્ષ રાખીને જગત અને જીવન વિષે વિચાર કરીએ છીએ તો આ સત્ય પણ આપણા સામે આવે છે કે આ જીવન શાશ્વત નથી, બલ્કે નશ્વર છે. મૃત્યુ જીવનને ઝડપવા તત્પર રહે છે. જીવન જો કોઈ શોક કે વિપદાઓથી અમુક અંશે બચી પણ ગયું તો મૃત્યુ આવીને તેનાથી બધી વસ્તુઓ છીનવી લે છે. અહીં તો પ્રત્યેક વસંતને પાનખરનું મોં જોવું જ પડે છે. અહીં યૌવન જ નહીં, જીવન પર ગુજરી જનાર છે.

આ પ્રકારે બીજા અપેક્ષિત ગુણથી પણ જીવન સુશોભિત દેખાતું નથી. બલ્કે વૈજ્ઞાાનિકોનું કહેવું તો એ છે કે જીવન જ નહીં, આ જગત પણ શાશ્વત નથી. આ સૂર્ય અને ચંદ્ર એવા નથી જે હંમેશ ચમકતા જ રહેશે. તેમની પણ એક સીમિત આયુ છે અને તેમનો પણ અંત થશે.

કુઆર્ન બતાવે છે કે આ જગત અને જીવનમાં જે અપૂર્ણતા દેખાય છે તે અપૂર્ણતા જાણી જોઈને રાખવામાં આવી છે. માનવ જે પરિપૂર્ણતા, પૂર્ણવૈભવ, નિશ્ચિતતા અને સુખની કામના કરે છે, તો તેની આ કામના ખોટા નથી. પરંતુ આ કામના અહીં પૂરી થવાની નથી, બલ્કે આ કામના સ્વયં મનુષ્યના કોઈ ને કોઈ બીજા લોકોના હોવાની ઘોષણા કરે છે. આ જગત અને વર્તમાન જીવન તો એટલા માટે છે કે ઈશ્વર તેની કસોટી લઈ લે કે કયા લોકો છે જે વાસ્તવમાં અમરત્વને પાત્ર છે. કયા લોકો છે જેઓ ઈશ્વરની કદી સમાપ્ત ન થનારી અનુકંપાને પાત્ર છે. જે લોકો આવા પાત્ર હશે અનિવાર્યપણે અમરલોકમાં તેમનું સ્વાગત થશે અને તે પરલોકમાં જે કંઈ તેમને પ્રદાન કરવામાં આવશે તે અપેક્ષિત ગુણોથી યુક્ત હશે.

ઈશ્વરની દૃષ્ટિમાં તો વાસ્તવમાં અમરલોક જ છે. આ સંસાર તો જીવનયાત્રાનો એક પડાવ માત્ર છે. કુઆર્ન કહે છે,”તમે લોકો દુનિયાના ફાયદાઓ ચાહો છો, જો કે અલ્લાહની નજર સમક્ષ તો પરલોક છે.” (૮ઃ૬૭)

પરલોકમાં સૌભાગ્યશાળી લોકોને તે બધું મળશે જેની તેઓ કામના કરે છે, આનું વિસ્તૃત વર્ણન કુઆર્ને કર્યું છે. ત્યાંના સુખદ જીવનનું ચિત્રણ જે કુઆર્નમાં જોવા મળે છે, અનુપમ છે. રહ્યા તે લોકો જેમણે વર્તમાન જીવનમાં પોતાની કુપાત્રતા સિવાય કોઈ બીજી વસ્તુનો પરિચય આપ્યો નથી અને જેમણે ઈશ્વરની યોજનાનો કોઈ આદર નથી કર્યો તેમનું જે દુઃખદ અને ભયાનક પરિણામ આવશે, તેની તો કલ્પના પણ કરી શકાય તેમ નથી.

આ વાત સ્પષ્ટ છે કે આપણી કામોનો લોક તો પરલોક જ છે. અપેક્ષિત ગુણોનું જ્ઞાાનનો માનવને એટલા માટે આપવામાં આવ્યું છે કે જેથી તેને પરલોકને શોધવાની તડપ હોય અને તે માટે તે પ્રયત્નશીલ બને.

અહીં એક પ્રશ્ન કરી શકાય છે કે આપણી કામનાઓ અને આશાઓનું સંસાર પરલોક છે અને ત્યાંની પ્રત્યેક વસ્તુ વિશ્વસનીય હશે, ત્યાં સુખ અને આનંદ છે, યૌવન અને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત હશે, આપણે તેનું દર્શન પણ કરી શકીશું, પરંતુ પારલૌકિક પરિણામોને પ્રાપ્ત થવામાં તો ખબર નહીં કેટલો સમય લાગશે જ્યારે કે કામનાઓની પૂર્તિમાં વધારે પડતો વિલંબ સ્વયં એક ખામી છે. ત્રીજા અપેક્ષિત ગુણની ચર્ચામાં આ કહેવામાં આવ્યું છે કે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવામાં વધુ વિલંબ થવો અસહ્ય હોવાના કારણે એક ખામી છે. અને ઈશ્વરની યોજનામાં કોઈ ખામી કે દોષની કલ્પના કરવી ગુનો છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પારલૌકિક જીવનની પ્રાપ્તિ વિલંબ નથી, તે તો અત્યંત નિકટ છે. આપણને તેના દૂર હોવાનો માત્ર ભ્રમ થાય છે. જો આ ભ્રમ દૂર થઈ જાય તો પરલોક આપણાથી કદાપિ દૂર નથી. કુઆર્નમાં કહેવામાં આવ્યું છે કે “આ લોકો તેને દૂર સમજે છે અને અમે આને નજીક જોઈ રહ્યાં છીએ.” (૭૦ઃ૭)

કુઆર્નમાં આવ્યું છે, “જે દિવસે આ લોકો તેને જોઈ લેશે તો આમને એવું લાગશે કે માત્ર એક દિવસના આગળના કે પાછળના પહોર સુધી રોકાયા છે.” (૭૫ઃ૪૬)

આજે તો વિજ્ઞાાને પણ આ સિદ્ધ કરી દીધું છે કે સમય માત્ર સાપેક્ષ (Relative) છે. તેનો સંબંધ માત્ર અહેસાસ જે અનુભૂતિથી છે. જ્યારે તે સમય આવશે તો લોકો જોશે કે ઘટના થવામાં વિલંબ જરા પણ નથી થયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments