સિધ્ધાંત માટે ધૈર્ય અને સૈદ્ધાંતિક જીવનઃ
“હઝરત હુઝૈફા રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : “(લોકો) ‘અમ્મિઅહ્’ ન બની જાઓ, એમ કહીને કે જો લોકો સારો વર્તાવ દાખવશે’ તો અમે પણ સારી રીતે વર્તીશું અને જો તેમણે ખરાબ વર્તન દાખવ્યું તો અમે (પણ) જુલ્મ કરીશું. બલ્કે પોતાની અંદર એ ટેવ કેળવો કે જો લોકો સારું વર્તન કરે તો પણ તમે ભલી રીતે વર્તો અને જો તેઓ જુલ્મનો માર્ગ અપનાવે તો તમે એમનું અનુસરણ ન કરો.” (મિશ્કાત ભાગ-૨, બાબુઝ્ઝુલ્મ પા. ૪૨૭).
સમજૂતી : અર્થાત તમે દરેક સંજોગોમાં ભલાઇ અને ન્યાયનો રાહ અપનાવો, પછી સમાજ ભલે ગમે તે માર્ગ ચાલતો હોય.”
તંગી અને ફક્ર–વ– ફાકામાં ધૈર્યઃ
હઝરત અબૂસઈદ ખુદરી રદી.ની રિવાયત છે કે, કેટલાક અન્સારીઓએ આપ સ.અ.વ.ની સામે પોતાની જરૃરિયાતો માટે રજૂઆત કરી. આપ સ.અ.વ.એ તે પૂરી કરી દીધી. તેમણે બીજીવાર સવાલ કર્યો, આપ સ.અ.વ.એ ફરી એમને આપ્યું એટલે સુધી કે આપ સ.અ.વ. પાસે કંઇ ન રહ્યું. જ્યારે બધું જ ખર્ચી રહ્યા ત્યારે આપ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “જે કંઇ મારી પાસે હોય છે તે હું તમારાથી બચાવીને ભેગું કરતો નથી, જે વ્યક્તિ સંતોષ અને સ્વમાન અપનાવે છે અલ્લાહ તઆલા તેને એ જ ગુણોથી નવાજે છે જે બેનિયાઝ થઈ રહે છે. અલ્લાહ તઆલા તેને જરૂરતોથી આઝાદ કરી દે છે, અને જે ધીરજ અને મક્કમતા અપનાવે છે અલ્લાહતઆલા તેને એમાં દૃઢતા એનાયત કરે છે. ખુદા તરફથી જે કોઈ નૈતિક ગુણો વડે બંદાને નવાજવામાં આવે છે એમાં સૌથી શ્રેષ્ઠ (પરિણામ અને ફળની દૃષ્ટિએ) વધુ વિસ્તૃત ધીરજનો ગુણ છે. ” (બુખારી, મુસ્લિમ, મિશ્કાત)